બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર થકી માત્ર બે મહિનામાં જ પ્રાકૃતિક કૃષિના આયામોના વેચાણ દ્વારા રૂ.૭૦ હજારની આવક મેળવતા વલાસણના પ્રકાશભાઈ સોલંકી

હિન્દ ન્યુઝ, આણંદ

     એક સમયમાં દેશના ભાવિ એવા બાળકોના ઘડતરમાં યોગદાન આપી ચૂકેલા શિક્ષક અને સાંપ્રત સમયમાં સમાજના આરોગ્યની દરકાર કરી રહેલા આણંદ જિલ્લાના વલાસણ ગામના પ્રકાશભાઈ સોલંકીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ પ્રત્યેના સઘન પ્રયાસોથી પ્રેરાઈને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઝંપલાવ્યું.

 વલાસણના પ્રકાશભાઈએ માત્ર પ્રાકૃતિક કૃષિ અપનાવીને પ્રાકૃતિક જણસના વેચાણથી અટક્યા નહીં,પરંતુ ત્યાંથી આગળ વધીને પ્રાકૃતિક કૃષિ માટેના જરૂરી આયામો માટેનું ઉત્પાદન કરતું બાયો ઇનપુટ રિસોર્ટ સેન્ટર (BRC) (જીવામૃત અને ઘન જીવામૃત વેચાણ કેન્દ્ર) યુનિટનો શુભારંભ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સહાય લઈને કર્યો.

પ્રકાશભાઈ બાયો ઈન્પુટ રિસોર્ટ સેન્ટરની વિગતવાર માહિતી આપતા જણાવે છે કે, બીઆરસી એ એવી વ્યવસ્થા છે કે જે ખેડૂતોને ઘર બેઠા અથવા નજીકથી જ યોગ્ય બાયો ઇનપુટ ઉપલબ્ધ કરાવે છે. જેમાં જીવામૃત,ઘન જીવામૃત, દશ પર્ણી અર્ક વગેરે જેવા પ્રાકૃતિક કૃષિ માટે ઉપયોગી આયામોનું ઉત્પાદન કરવામાં આવે છે.

વધુમાં તેઓ ઉમેરતા જણાવે છે કે,આ પ્રકારના યુનિટ થકી ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિના આયામો નજીવા ખર્ચે ખેડૂતોને ઉપલબ્ધ કરવામાં આવે છે.જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી છે, તથા દેશી ગાય કે અન્ય વ્યવસ્થાના અભાવે પાછા પડે છે, તેના માટે બાયો ઇનપુટ રિસોર્ટ સેન્ટર એક આશીર્વાદ સમાન બન્યું છે. જેના થકી સરળતાથી પ્રાકૃતિક કૃષિના આયામો મળી રહેશે.

બાયો ઈન્પુટ રિસોર્ટ સેન્ટર માટે સરકારશ્રી તરફથી મળેલ સહાયની વાત કરતા પ્રકાશભાઈ જણાવે છે કે,મને રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ તરફથી પાંચ હજાર લિટર ક્ષમતા ધરાવતા પીવીસી ટાંકી, પાકું ભોયતળિયું (૨૦૦ ચોરસ ફુટ), સ્ટરર, પ્લાસ્ટિક કેરબા, ડોલ ટોકર તથા અન્ય આનુસંગિક ખર્ચ માટે કુલ ખર્ચના ૫૦ ટકા મુજબ મહત્તમ રૂ.૬૦ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવી છે.

બી આર સી યુનિટ થકી પ્રકાશભાઈએ અત્યાર સુધીમાં ત્રણ હજાર કિલોગ્રામ ઘન જીવામૃત તથા ચાર હજાર કિલોગ્રામ જેટલું જીવામૃત ખેડૂતોને પૂરું પાડ્યું છે. જેના થકી પ્રકાશભાઈએ રૂ.૭૦ હજાર જેટલી આવક પણ થઈ છે.

આ યુનિટના સ્થાપના બદલ વલાસણના પ્રકાશભાઈ સોલંકીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી સમાજ તંદુરસ્ત બનશે અને જમીનની તંદુરસ્તી પણ વધશે, માટે રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં સહભાગી બનવાનો સુવર્ણ અવસર મળ્યો તે બદલ હું પોતાની જાતને નસીબદાર માનું છું અને પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધન્યતા અનુભવુ છું.

Related posts

Leave a Comment