સોમનાથ મંદિર ખાતે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શૉ’ માં સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ઈવેન્ટ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ સંદર્ભે ૧૩-જૂનાગઢ બેઠક પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થવાનું છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ટીપ નોડલ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં મહત્તમ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) હેઠળ વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે.

જે અંતર્ગત દરેક મતદાતા પોતાનો મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે મતદાન વિશે જાગૃત થાય તે માટે રેડિયો જોકી (આર.જે.) સંજુ સાથે સોમનાથ મંદિર ખાતે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શૉ’ માં સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઈવેન્ટમાં રેડિઓ જોકી સંજુએ લોકોને મતદાર યાદીમાં પોતાનું નામ કેવી રીતે શોધવું?, કયા મતદાન મથક (બૂથ) પર મતદાન કરવા માટે જવું ?, કયા કયા પુરાવાઓ (આઇ.ડી. કાર્ડ)થી મતદાન થઈ શકે છે? તે પ્રકારની વિવિધ સમજ ઉપસ્થિત લોકોને આપવામાં આવી હતી.

આ ઉપરાંત, આર.જે. સંજુ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પરથી મતદાન જાગૃતિલક્ષી સંદેશો આપવા જણાવ્યું હતું. નાગરિકોને આ અવસરે અચૂક મતદાન કરવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સ્વીપના નોડલ અધિકારી એમ.પી.બોરિચા, ટીપ સહાયક નોડલ અધિકારી એન.ડી.અપારનાથી તેમજ સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિ સુરુભા જાડેજા સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment