વધુમાં વધુ મતદારો મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટીબદ્ધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ આણંદ જિલ્લો

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ સંસદિય મતવિસ્તારમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

આણંદ જિલ્લાના સાત વિધાનસભા મતવિસ્તારમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યાછે.

જેમાં ખંભાત વિધાનસભા મતવિસ્તારના મોતીપુરા અને નગરા ગામે, બોરસદ વિધાનસભા મતવિસ્તારના વાલવોડ ગામે, આણંદ વિધાનસભા મતવિસ્તારના બોરીયાવી અને લાંભવેલ ખાતે તેમજ પેટલાદ વિધાનસભા મતવિસ્તારના ડભાસી અને વિશ્રામપુરા ખાતે મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. 

મતદાન જાગૃતિ કાર્યક્રમો દરમિયાન ઉક્ત સ્થળોએ મતદાર જાગૃતિ રેલી કાઢીને મતદારોને જાગૃત કરવામાં આવ્યા અને મતદારોને અચૂક મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા (શપથ) લેવાડાવવામાં આવી હતી. જ્યારે મતદારોને મતદાન સંકલ્પ પત્ર અને ખાસ કરીને મહિલા મતદારોને મતદાન આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, ખાસ કરીને મહિલાઓને તેમના મતાધિકારનું મૂલ્ય અને મતદાનની ફરજ અંગે સજાગ કરવામાં આવ્યા હતાં.

આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ગામના તલાટી, આઈસીડીએસ સુપરવાઈઝર, આંગણવાડી કાર્યકર બહેનો, સખીમંડળની બહેનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, આણંદ લોકસભા મતવિસ્તારમાં કુલ ૮,૬૫,૩૧૭ મહિલા મતદારો છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મહિલાઓ તેમને મળેલા મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

Related posts

Leave a Comment