પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ભક્તિ સમુદ્ર

હિન્દ ન્યુઝ, સોમનાથ 

      દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદાને શીશ નમાવી શિવરાત્રી પર મહાદેવની અનુકંપા પ્રાપ્ત કરવા લાખો શ્રદ્ધાળુ સોમનાથ ભણી પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જે દરમિયાન સાંજે 6:00 વાગ્યા સુધીમાં 50000 થી વધુ શ્રદ્ધાળુપ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. દેશના પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદી ની અધ્યક્ષતામાં યાત્રી સુવિધાઓ નો વિસ્તાર કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત નવી પ્રવેશ વ્યવસ્થા અનુસાર ક્લોકરૂમ શું હાઉસ પૂજા વિધિ કાઉન્ટર અને ફ્રીસ્કિંગ સુવિધા સુધી હરોળમાં આવી હોય લોકોએ ખૂબ જ સરળતાથી પૂર્વક સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.

આજે વહેલી સવારે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી દ્વારા પાલખી પૂજન અને ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે રાજ્ય સરકારના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ મંત્રી મુળુભાઈ બેરા પણ પૂજન માં જોડાયા હતા અને મહાદેવની ધજા પૂજા કરી ધન્ય થયા હતા. આ મહોત્સવમાં દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને અને પૂજા અર્ચના કરી પુણ્ય અર્જિત કરવા સોમનાથ પહોંચ્યા હતા. આજના વિશેષ અવસર પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા અને સોમનાથ મહદેવનું ધ્વજારોપણ કરી ધન્ય થયા હતા.

 સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિક્રમ જનક 5000 ભક્તો સાથે 1000 પરિવારોને મારુતિ બીચ ખાતે પંચમહાભૂત નો અનુભવ કરાવતી પાર્થેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ના લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટના વિઝન સાથે સોમનાથ ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી અને ઝીરો વેસ્ટ પૂજા તરીકે પાર્થિવેશ્વર શિવલિંગ પૂજા શ્રદ્ધાળુઓને કરાવે છે. માટીનું બનેલું શિવલિંગ સનાતન ધર્મમાં પ્રકૃતિ પ્રેમ અને સ્વચ્છતા તેમજ ત્યાગનું પ્રતિક હોય વેદોક્ત મંત્રોચાર સાથે પૂજન તો કરાવવામાં આવ્યું જ સાથે સાથે શિવજીને પ્રિય આ શ્લોકોનો ભાવાનુંવાદ કરીને દર્શનાર્થીઓને પૂજા પદ્ધતિની તલસ્પર્શી માહિતી પણ આપવામાં આવી હતી. આ પૂજા નો ભાગ બની 1,000 પરિવારો ધન્ય બન્યા હતા.

શ્રી સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના પ્રતિક રૂપને પાલખીમાં વિરાજમાન કરી ભવ્ય પાલખીયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે હજારો શ્રદ્ધાળુ જોડાયા હતા.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ પરંપરા અનુસાર શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ ના યજમાન પદે શ્રી સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ભારત દેશના શાંતિ સુખાકારી અને વિકાસની પ્રાર્થના સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસની કૃષ્ણ ત્રયોદશી પર આ યજ્ઞ કરવામાં આવે છે જે વિશેષ ઉલ્લાસ સાથે મહાશિવરાત્રીના પાવન પરવે પણ કરવામાં આવ્યો હતો. 

ગત રોજ દિવસમાં સોમનાથ મંદિરમાં 101 સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી. સાથે સાથે સોમનાથના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક 56 ધ્વજા સોમનાથ મંદિરના શિખર પર આરોહિત કરવામાં આવી હતી. 

શિવજીને અત્યંત પ્રિય રુદ્રાષ્ટાધ્યાય એટલે કે રુદ્રાભિષેકના 2161 પાઠ કરવામાં આવ્યા હતા. સાથે સાથે આજના દિવસ દરમિયાન કુલ 68 લઘુરુદ્ર યજ્ઞ પણ સંપન્ન થયા હતા. 

Related posts

Leave a Comment