વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરી ખાતે થશે જિલ્લા કક્ષાના ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, જામનગર

આગામી ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા સ્થિત ઐતિહાસિક ભૂચરમોરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડીયાના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ ‘સ્વાતંત્ર્ય દિન’ની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીને યાદગાર, સુચારુ અને શિસ્તબદ્ધ બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓની પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટર પી.બી.પંડ્યાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંદર્ભે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરીની વિભાગવાર ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે કાર્યક્રમ સ્થળે નાગરિકો તથા મહાનુભાવો માટે બેઠક વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો, શુદ્ધ પીવાના પાણીની સુવિધા, શ્રેષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિર્માણ, કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ, વાહન પાર્કિંગ, તમામ સરકારી કચેરીઓ પર રોશની, સમગ્ર પરિસરમાં સ્વચ્છતા, તેમજ ઈમરજન્સી આરોગ્ય સેવાઓ અને મેડિકલ ટીમની ઉપલબ્ધતા સહિતની તમામ આવશ્યક વ્યવસ્થાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાષ્ટ્રીય ગૌરવને અનુરૂપ ભવ્યતા, ગરિમા અને શિસ્ત સાથે યોજાય તે અત્યંત જરૂરી છે. આ માટે તમામ સરકારી વિભાગોએ પરસ્પર ઉત્તમ સંકલન સાધીને પોતાની ફરજોનું સુચારુ વહન કરવું અને દરેક પૂર્વ તૈયારી સમયસર પૂર્ણ કરવી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી.

Related posts

Leave a Comment