હિન્દ ન્યુઝ, વલસાડ
જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ નાયબ બાગાયત નિયામકની કચેરી – વલસાડ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરીકલ્ચર એંડ મેંગો, ચણવઇ ખાતે વલસાડ જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ તાલીમ યોજાઇ હતી. જેનો મુખ્ય આશય ખેડૂતોને આંબાવાડીઓને વૈજ્ઞાનિક પદ્વતિએ પુનઃ સ્થાપન હતો. ઉલ્લેખનિયછે કે, તાજેતરમાં તા. ૨૨/૦૭/૨૦૨૬ અને તા. ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ થયેલ અતિ ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ ઉભી થઇ હતી, જેના કારણે જિલ્લાની નદીઓ, કોતર અને ખાડી વિસ્તારમાં આવેલ ખેડૂતોની આંબાવાડીઓને નુકશાન થયું હતું.
જિલ્લા વિકાસ અધિકારી અતિરગ ચપલોતે તાલીમમાં જણાવ્યું હતું કે, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને થયેલા નુકશાનની પ્રત્યક્ષ પરિસ્થિતિ જોઈ હતી અને તુરંત જ ખેડૂતોને મદદ પહોંચાડવા સૂચના આપી હતી. તેમના માર્ગદર્શનમાં આ પ્રત્યક્ષ તાલીમનું ત્વરિત આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ દ્વારા ખેડૂતો પણ એકબીજાને સહભાગી થઈ આંબાવાડી અને આંબા કલમોને ઉગારી શકશે. ખેડૂતોને બનતી સહાય કરવા રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.
આ તાલીમમાં વલસાડ જિલ્લાના ૧૨૦ થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહ્યા હતા. તજજ્ઞ તરીકે કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, પરિયા ખાતેથી ડૉ. ચિરાગ આર. પટેલ, ડૉ. નિરવ ગજરે અને ડૉ. આશિષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નુકસાન પામેલા આંબાના ઝાડની માવજત કરવા, રોગ-જીવાત નિયંત્રણ અને વૈજ્ઞાનિક ઢબે બગીચાને ફરીથી કઈ રીતે નવપલ્લવિત કરવો તે અંગે ખેડૂતોને વિસ્તૃત અને પ્રત્યક્ષ તાલીમ પૂરી પાડી હતી.
તાલીમમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ બાગાયત નિયામકશ્રી, પ્રોજેક્ટ ડાય્રેક્ટર (આત્મા) તેમજ બાગાયત અને ખેતી વિભાગના તમામ કર્મચારી અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ઉત્પાદિત પ્લાંટીંગ મટીરીયલ્સમાં એટ સોર્સ સહાય યોજના અંતર્ગત જે ખેડૂતો નુકસાનગ્રસ્ત વિસ્તારમાં નવી કલમો વાવેતર કરવા માંગતા હતા તેમને સહાયનો લાભ આપી આંબા કલમો પુરી પાડવામાં આવી છે.
તેમજ વહિવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને વધુ માર્ગ્દર્શન મળે તે માટે કર્મચારી/અધિકારીઓ તથા કૃષિ વૈજ્ઞાનિકો ની ટીમ બનાવવામાં આવી છે જે અસરગ્રસ્ત ખેડૂતોની આંબાવાડી ની મુલાકાત લઈ માર્ગદર્શન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
