હિન્દ ન્યુઝ, જૂનાગઢ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત માર્ગદર્શન અનુસાર જૂનાગઢ શહેરમાં સરદારબાગ ઝાંસીના પૂતળા આગળ ફળદુવાદી ખાતે કોમન યોગ પ્રોટોકોલ શિક્ષણ શિબિર યોજાઇ હતી.
આ કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ અને જૂનાગઢ શહેરના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા અને અન્ય મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ સુર્ય નમસ્કાર, કપાલભાતિ, વિવિધ યોગાસનો જેવા કે ભુજંગાસન, મંડૂકાસન, તાડાસન, પદ્માસન, ભદ્રાસન વગેરે આસનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહામૃત્યુંજય જાપ, વિવિધ યોગ ક્રિયાઓ, પ્રાણાયામ, વિવિધ યોગ મુદ્રાઓ પણ યોગ સાધકોએ ઉત્સાહભેર પૂર્ણ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણાદાયી પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે માન્યતા મળી છે. તે જ ભાવનાને આગળ વધારવા રમતગમત વિભાગ, ગાંધીનગર હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ રાજ્યના દરેક નાગરિકને નિરોગી, સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે. ઉપરોક્ત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલજી અત્યારે પોતાની ફરજ સુપેરે બજાવી રહયા છે. આ પ્રકારના કાર્યક્રમો એ માત્ર એક યોગ શિબિર જ નહીં, પરંતુ “નિરોગી ગુજરાત – સ્વસ્થ ભારત” ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક પ્રેરણાદાયી જનઆંદોલન સમાન છે.
ઉક્ત કાર્યક્રમ દરમિયાન સ્ટેટ યોગ કોઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળા, મયંકભાઈ ભાદુરીયા, ડોક્ટર ટીમ સર્વે ચીખલીયાભાઈ, ડો.ગજેરા, ડો.રાહુલ ભટ્ટ, રેણુબેન શુક્લા, બીનાબેન, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી લતાબેન ઉપાધ્યાય, જૂનાગઢના યોગ ઝોન કોઓર્ડીનેટર ચેતનાબેન, મહાનગરપાલિકા યોગ કોઓર્ડીનેટર વૈશાલીબેન, જિલ્લા કોઓર્ડીનેટર શ્રી સોનલબેન, જયંતીભાઈ તેમજ ૧૫૦૦ જેટલા યોગ સાધકો ઉપસ્થિત રહયા હતા.
