જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ખાણી પીણીની ૧૩૦ જેટલી લારી ગલ્લાની તપાસ કરી ૨૨ નમુના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, આણંદ

આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સ્ટ્રીટ ફૂડ ખાણીપીની લારીઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન વિદ્યાનગર ઇસ્કોન મંદિર રોડ ખાતે આવેલ, આણંદ ટાઉનહોલ પાસે, ખાઉંદરા ગલી, નવા બસ સ્ટેન્ડ પાસે, ગામડી વડ, ગ્રીડ ચોકડી રોડ પર, ખંભાત ખાતે બસ સ્ટેશન, ટાવર પાસે, સ્ટેશન રોડ, પ્રેસ રોડ, ડોક્ટર આંબેડકર સર્કલ પાસેના સ્ટ્રીટ ફૂડ તથા આમલેટ બનાવતી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સોજીત્રા ચોકડી ખાતે અને સોજીત્રા બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં તથા ચાંગા અને ચાંગા યુનિવર્સિટી ની આસપાસમાં આવેલ ખાણીપીણીની લારી ગલ્લાઓમાં કુલ ૧૩૦ ખાણીપીણીના લારી ગલ્લાઓની તપાસ કરતા 22 જેટલા નમુના લઈને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે લેબોરેટરી નો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ તપાસ દરમિયાન જોવા મળેલ બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજોનો કુલ ૮૮ કિલોગ્રામનો જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે અને ૦૬ જેટલી પેઢીઓને હાઈજિંન તેમજ સેનિટેશન બાબતે સુધારા કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદ દ્વારા આણંદ જિલ્લાના લારી ગલ્લાવાળાઓ, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને સેનિટેશન અને હાઈજીન અંગે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ છે, આ ઉપરાંત એપ્રોન, કેપ પહેરવા અને નિયમિત રૂપે સાફ-સફાઈ રાખવા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment