હિન્દ ન્યુઝ, જામનગર
જિલ્લા રોજગાર અધિકારી સરોજ સાંડપાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને તેમને યોગ્ય કારકિર્દી પસંદગીમાં મદદરૂપ થવા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી વિકલ્પો વિશે માહિતી મળી રહે તે માટે બેઠકમાં કેરિયર કોર્નર સ્થાપવા અને તેને વધુ કાર્યક્ષમ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓને વિવિધ વોકેશનલ કોર્સિસ વિશે માહિતગાર કરવા ચર્ચા કરાઈ હતી.સમિતિ દ્વારા સંરક્ષણ દળ અને સરકારી ભરતીઓની તૈયારીઓ વિશે શાળાઓના વિદ્યાર્થીઓને સેમિનાર દ્વારા માર્ગદર્શન આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં જિલ્લા રોજગાર અધિકારી સરોજ સાંડપાએ જૂન-૨૦૨૫ સુધીના ત્રિમાસિક ગાળા દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જામનગર દ્વારા રોજગાર નોંધણી અને વ્યવસાયિક માર્ગદર્શન માટે કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી. સાથે જ નિવાસી તાલીમમાં જોડાવા ઈચ્છુક વિદ્યાર્થીઓને તેની સંપૂર્ણ માહિતીથી અવગત કરવા અંગે પણ ચર્ચા કરાઈ હતી.
બેઠકમાં આઈ.ટી.આઈ. તથા પોલીટેક્નિકના આચાર્ય, શિક્ષણ નિરીક્ષક, માધ્યમિક શાળા આચાર્ય સંઘના પ્રમુખ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
