ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (PAC) એ ડૉ.બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય અને અલંગ પોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ભાવનગર  

      ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (PAC)એ ભાવનગર જિલ્લાના પ્રવાસના બીજા દિવસના પ્રવાસ દરમિયાન નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, ગાંધીનગર હસ્તકના ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય અને અલંગ પોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.

      આ તકે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને સમિતિના સભ્યો અર્જુનભાઈ મોઢવાડીયા, નરેશભાઈ પટેલ, વિનેન્દ્રસિંહ ઝાલા, સી. કે. રાઉલજી, પ્રવિણભાઈ માળી, અરવિંદભાઈ રાણા, ડૉ. હસમુખભાઈ પટેલ અને અમૂલભાઈ ભટ્ટ, હેમંતભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.

      જાહેર હિસાબ સમિતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની મુલાકાત વેળાએ હાલ આ છાત્રાલયમાં રહેતાં વિદ્યાર્થીઓને અપાતી સુવિધા, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમને અપાતા ભોજન, રહેવાની વ્યવસ્થા અંગેની માહિતી મેળવીને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

       ત્યારબાદ જાહેર હિસાબ સમિતિએ અલંગ પોર્ટની મુલાકાત દરમિયાન જહાજોનું આગમન, તૈયારી અને સલામતી, રિસાયક્લિંગની પ્રક્રિયા‌ અંગેની તકનીકી બાબતોની ઝીણવટભરી માહિતી મેળવવા ઉપરાંત શીપમાં થઈ રહેલી પ્રત્યક્ષ કામગીરી નિહાળી હતી‌.

        આ વેળાએ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ શિપ રીસાયકલિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન સાથે વાર્તાલાપ કરતાં જણાવ્યું હતું કે, દુનિયાનું બીજા નંબરનું તથા એશિયાનું પહેલાં નંબરનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ અલંગ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ છેલ્લા બે વર્ષમાં મંદીના સમયમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડને ચાર્જીસમાંથી રાહત આપી છે. અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના વિકાસ માટે જે કંઈ કરવું પડે તે કરવા સરકાર પ્રતિબદ્ધ છે. શિપ રીસાયકલિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા જે કંઈ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે, તે પ્રશ્નોને જાહેર હિસાબ સમિતિ સરકાર સમક્ષ રજૂ કરી ભલામણ પણ કરીશે. જાહેર હિસાબ સમિતિ લોકોના ભલા માટે સારુ પરિણામ આપવાના પ્રયાસ કરે છે.

      તેમણે કહ્યું કે, અંલગ પોર્ટથી ભાવનગરને તો લાભ મળે જ છે પરંતુ ગુજરાત અને દેશના હિતને ધ્યાને રાખીને જૂની પોલીસીની મુદ્ત પૂર્ણ થયે નવી પોલીસી બનાવવા સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવશે, પહેલાં કરતાં પોર્ટની પોલીસી ઘણી જ સરળ હોવાનું તેમણે જણાવ્યું હતું.

      આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ અલંગ શિપ રીસાકલીગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, અલંગ પોર્ટની શરૂઆત થઈ ત્યારથી લઈને આજદિન સુધી અલંગ શિપ રીસાકલીગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશને‌ કેટલાંય પરિવર્તનો કર્યાં છે. એસોસિયેશને અનેક ચેલેન્જનો સામનો પણ કર્યો હોવાનું જણાવ્યું હતું.

       જાહેર હિસાબ સમિતિએ અંલગ પોર્ટ ખાતે કાર્યરત ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી સંચાલિત હોસ્પિટલને નવી એમ્બ્યુલન્સની ચાવી એનાયત કરી હતી. શિશુ શિક્ષા નિકેતન સ્કૂલના પર પ્રાંતિય બાળકોની મુલાકાત લીધી હતી.

      અલંગ પોર્ટની મુલાકાત બાદ જાહેર હિસાબ સમિતિએ ત્રાપજ સ્થિત રૂ.૫૦ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળની તણસા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લઈ કામ અંગે જરૂરી સુચનો‌ કર્યાં હતાં.

         આ સમિતિની મુલાકાત પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, વિધાનસભા સચિવ સી. બી. પંડ્યા, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર ડૉ.એન.કે.મીના, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના ડાયરેક્ટર નેહાકુમારી, વિધાનસભા ઉપસચિવ ચિરાગ પટેલ, ઉદ્યોગ વિભાગના ઉપ સચિવ અને નોડલ ઓફિસર નિલેશ મોદી, અલંગ શિપ રીસાઈકલીગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સુમિતભાઈ ઠક્કર સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment