ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસા ઋતુમાં મેલેરિયા વિરોધી જુન માસમાં વાહક જન્ય અને પાણી જન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધી મેલેરીયા મુકત ગુજરાતનું લક્ષ્ય પાપ્ત કરવા નિર્ધાર કરવામાં આવ્યો છે. ”મેલેરીયા મુકત ગુજરાત’’ સુત્રને સાર્થક કરવા સક્રિય પ્રયત્નો તમામ જિલ્લાઓ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે “મેલેરિયાનો અંત આપણાથી, પુન: રોકાણ કરો, પુન: કલ્પના કરો, પુન: જાગ્રુત કરો.” થીમ આધારે જનજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં જૂન માસને મેલેરીયા વિરોધી માસ-૨૦૨૫ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર, મેલેરિયા(આરોગ્ય)શાખા જિલ્લા પંચાયત, ગીર સોમનાથ તથા ગીર સોમનાથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆ અને જિલ્લા મેલેરિયા અધિકારી અને એપિડેમિક મેડીકલ ઓફિસર ડો.ડી.કે.ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કુલ ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૪ અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા જિલ્લાના તમામ ગામો/શહેરી વિસ્તારના હાઉસ ટુ હાઉસની મુલાકાત લેવામાં આવી હતી. સર્વેલન્સ દરમિયાન તમામ શંકાસ્પદ મેલેરીયા કેસોના કુલ- ૨૮,૭૭૩ લોહીના નમુનાનું માઈક્રોસ્કોપી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પાણી જન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત જિલ્લાનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પોરાનાશક કામગીરી અંગે જુન માસમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વે ઝુંબેશ રાઉન્ડ દરમિયાન ૨,૫૮,૯૪૫ ઘરની તપાસ કરતાં ૨૮,૭૭૩ તાવના કેસ મળી આવ્યા હતા. જે તમામની માઇક્રોસ્કોપી ટેસ્ટ કરાયા તથા ૧૦,૪૦,૪૨૨ પાત્રોની ચકાસણી કરતાં ૧૩,૦૪૩ પાત્રો પોઝીટીવ બ્રીડીગ વાળા જોવા મળ્યા હતા. જે તમામનો સ્થળ ઉપર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે પોઝીટીવ બ્રીડીંગ વાળા પાત્રોમાં ટેમીફોસ દવા દ્વારા તેમજ સોર્સ રિડકશનથી નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ ખાડા ખાબોચિયામાં ઓઈલ બોલ/ડાયફ્લ્યુબેન્ઝુરોન ૨૫%નો છંટકાવ કરવામાં આવ્યો છે.

જુન માસ દરમિયાન જિલ્લામાં કુલ-૫૮૧ સ્થળ ખાતે પોરાભક્ષક માછલીઓ પણ મુકવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં અર્બન વિસ્તારમાં મુકવામાં આવેલ ૧૦ વેકટર કંટ્રોલ ટીમના ૫૦ સભ્યો દ્વારા અર્બન વિસ્તાર ખાતે એંટીલાર્વલ કામગીરી જેમાં ટેમીફોસ, ડાઇફલુબેંઝુરોન છંટકાવ, ઓઇલ બોલ, સોર્સ રીડકશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

ગીર સોમનાથ મેલેરિયા શાખા દ્વારા જનજાગૃતિના ભાગરૂપે પ્રચાર પ્રસાર દ્વારા મેલેરીયા-ડેન્ગ્યુ –ચિકનગુનિયા જેવા વાહકજન્ય -–પાણી જન્ય રોગોની સમજણ કેળવવામાં આવી રહી છે. મચ્છર ઉત્પતિ સ્થાનો, સ્વ બચાવ માટેના ઉપાયો વિશે જન સમુદાયમાં જાગૃતિ, પત્રિકા વિતરણ, જાહેર સ્થળ ખાતે પોસ્ટર્સ ડીસ્પલે, લઘુ શીબીર, ગુરુ શીબીર, ગ્રુપ ચર્ચા, લોક ભાગીદારી થકી વાહક જન્ય -–પાણી જન્ય રોગો અટકાવવા સમજ કેળવવામાં આવી રહી છે.

મલેરીયા રોગના અટકાયત માટે સર્વે નાગરિકો પણ આ અંગે જાગૃત્ત બને, મચ્છરના ઉપદ્રવના સ્થાનોને નિયંત્રિત કરે તે જરુરી છે. માદા એનોફિલીસ એ મચ્છર મેલેરિયાનો ફેલાવો કરે છે, જે મોટેભાગે રાત્રે કરડે છે. માદા એડીસ મચ્છરથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ ફેલાઇ છે. જ્યાં ચોખ્ખું-ખુલ્લું અને બંધિયાર પાણી મળે ત્યાં આ મચ્છરોની ઉત્પતિ થાય છે. આથી પાણી સંગ્રહના તમામ પાત્રો, હવાચુસ્ત ઢાંકીને રાખવા સાથે ઘરમાં કે ઘરની બહાર ક્યાંય પાણીનો ભરાવો ન થવા દેવો, ફ્રીજની પાછળની ટ્રે, પક્ષીકુંજ, પશુઓને પાણી પીવાની કુંડી સહિત સ્થાનો પર પાણી ખાલી કરવા, તેને સૂકાવા દેવા જોઇએ.

આમ, મચ્છરોની ઉત્પતિ અટકાવવા કાળજી લઇએ અને જાગૃત નાગરિક તરીકે જરૂરી સાવચેતી રાખવા ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

Related posts

Leave a Comment