હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુ ને ધ્યાનમાં લઈ ને તથા મેલેરિયા વિરોધી માસ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર રાજેશ પટેલના માર્ગદર્શન મુજબ ૪૫ જેટલી ટીમ દ્વારા મચ્છર જન્ય રોગચાળો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છર થી ફેલાતા રોગ અટકાયત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, અને ૫૬૧૪૭ ઘરો ખાતે સર્વે કરવામાં આવ્યો છે, ૧૫૫ દુકાન, સંસ્થાઓ ખાતે ડેન્ગ્યુ મેલેરિયાના નોટિફિકેશન એક્ટની અમલવારી સબંધે નોટિસ આપવામાં આવી છે, ૪૧૬૪ પાત્રોમાં પોરા જોવા મળતા કુલ રૂપિયા ૧,૯૭,૨૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવેલ છે.
મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલશ્રીએ જણાવ્યું કે, મહાનગરપાલિકા આણંદના શહેરી વિસ્તારમાં જો કોઈપણ સોસાયટી, બાંધકામ સાઈટ, શાળા – કોલેજો, હોસ્ટેલો, હોટલ, ગેસ્ટ હાઉસ, હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મોલ, સિનેમા, શોપિંગ સેન્ટર, બાગ બગીચા, ધાર્મિક સામાજિક સંસ્થાઓના કેમ્પસ, ખાનગી ઓફિસો અને ફેક્ટરીઓમાં મોટા પ્રમાણમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો, રૂ.૫૦૦ થી રૂ.૧૫ હજાર સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે, તદુપરાંત જે તે બિલ્ડિંગ પણ સીલ કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

ડેન્ગ્યૂને હરાવવા માટે આપના ઘરના પાણી ભરેલા પાત્રોને તપાસી તેની સાફ-સફાઈ કરો અને પાત્રો ઢાંકીને રાખો આ થીમ મુજબ નાગરિકોએ કામગીરી કરવા આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર શ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
