હિન્દ ન્યુઝ, ભુજ
સ્વસ્થ રહેવાનો સચોટ માર્ગ એટલે યોગ. કસરત, યોગ, પ્રાણાયામ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. યોગથી શારીરિક અને માનસિક સ્વસ્થ રહી શકાય છે. યોગ થકી બાળકોની તેજસ્વીતા અને એકાગ્રતામાં વધારો થાય તથા મેદસ્વિતાને નાથવા મદદરૂપ બને છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા બાળકો સ્વસ્થ, તેજસ્વી અને મેદસ્વિતા મુક્ત બની શકે તે હેતુથી જિલ્લામાં નિઃશૂલ્ક સમર યોગ કેમ્પ યોજાનાર છે ત્યારે આપના બાળકોને તેનો ભાગ બનાવીએ.
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકાઓમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં દરેક બાળકોને અનુભવી અને સર્ટિફાઇડ યોગ શિક્ષકો દ્વારા પુરતી તાલીમ તેમજ ઘરે નિયમિત યોગ કરી શકાય તેવી માહિતી પુસ્તિકા અને કૅમ્પના અંતે દરેક બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ કેમ્પનું gsyb.in વેબસાઈટ પર ફ્રિ રજિસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકાય છે.
સમર યોગ કેમ્પ ૩૦ મે સુધી ચાલશે. યોગ થકી બાળકો સ્વસ્થ, તેજસ્વી અને મેદસ્વિતા મુક્ત બની શકે તે હેતુથી ૭ થી ૧૫ વર્ષના બાળકો રજિસ્ટ્રેશન કરાવી આ કેમ્પનો લાભ લઈ શકે છે. હાલ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન વેગવંતુ છે, જે અંતર્ગત આ વર્ષે મેદસ્વીતાથી પીડાતા બાળકો માટે સરકારશ્રી દ્વારા સમર યોગ કેમ્પનું વિશેષ આયોજન કરેલ છે. કેમ્પનો સમય સવારે ૦૭ થી ૦૯ કલાક સુધીનો રહેશે.
યોગ થકી થનારા લાભ
• યોગ થકી બાળક યશસ્વી અને મેધાવી બને છે.
• તન અને મન તંદુરસ્ત કરે
• બાળકને મેધાવી અને તેજસ્વી બનાવે
• ભણતરમાં એકાગ્રતા સહિત યાદશક્તિમાં વધારો કરે
• માંસપેશીઓની ક્ષમતા અને શરીરના લચીલાપણામાં વૃદ્ધિ કરે
• મોબાઈલ અને જંકફૂડ જેવી કુટેવોથી દૂર રહેવા પ્રેરિત કરે
