કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કીટ હાઉસ ખાતે નાગરિકો તથા આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની તલસ્પર્શી ચર્ચા કરી

હિન્દ ન્યુઝ, જામનગર

     રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે વિસ્તારના નાગરિકો અને આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની તલસ્પર્શી ચર્ચા – વિચારણા કરી હતી. મંત્રીએ ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતોનું ઝડપી નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે.જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે.કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળી તેના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

Related posts

Leave a Comment