છોટાઉદેપુર જિલ્લામાં પરવાનગી વિના સભા, સરઘસ કે રેલી કાઢવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા આદર્શ આચારસંહિતા જળવાઈ રહે તે માટે કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી હોઈ છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ તેમને મળેલ સત્તાની રૂએ તા.૧૪/૦૫/૨૦૨૪ સુધી જિલ્લામાં કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

જે અન્વયે સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કરતાં વધુ વ્યક્તિઓના ભેગા થવા પર, સભા ભરવા કે બોલાવવા, રેલી કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ચૂંટણી સબંધી સભા, સરઘસ કે રેલી અંગેની પરવાનગી સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટઓએ તેઓના મુખ્ય મથકના વિસ્તાર માટે તથા તાલુકા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટઓએ તેઓના તાલુકા વિસ્તાર માટે સ્થાનિક પરિસ્થિતિ તથા પોલીસ ખાતાનો અભિપ્રાય મેળવીને આપવાની રહેશે.

આ ઉપરાંત રાજકીય પક્ષો/ઉમેદવારો સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને જે સ્થળે ચૂંટણી પ્રચાર માટેની સભા રાખે, તે સ્થળની અંદર જે સમય દરમિયાન સભા યોજવામાં આવે તેટલા સમયગાળા દરમિયાન જ બેનર્સ, હોર્ડીંગ્સ, કટ – આઉટ, પોસ્ટર્સ વગેરે પ્રદર્શિત કરી શકશે. સંબંધિત રાજકીય પક્ષે/ઉમેદવારે સભા પૂરી થયા પછી તુર્તજ સભાના સ્થળે, પ્રદર્શિત કરવામાં આવેલા બેનર્સ, હોડીંગ્સ, કટ – આઉટ, પોસ્ટર્સ વગેરે દુર કરવાના રહેશે.

સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને ચૂંટણી પ્રચાર માટે કાઢવામાં આવતા સરઘસ કે રેલીમાં પક્ષ/ઉમેદવારે આપેલ ખાસ સાધનો જેવા કે ટોપી, મહોરો, સ્કાર્ફ, વગેરેનો પરવાનગી સિવાય ઉપયોગ કરી શકાશે નહીં.

આ હૂકમ સરકારી નોકરીમાં અથવા રોજી પર હોય તે વ્યક્તિ, કોઈ લગ્નના વરઘોડા, ફરજ પર હોય તેવી ગ્રામ રક્ષકદળની વ્યક્તિઓ, કોઈ પણ સ્મશાનયાત્રા તેમજ કોઈ પણ સરકારી કાર્યક્રમને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે

Related posts

Leave a Comment