હિન્દ ન્યુઝ, મહીસાગર
મહીસાગર જિલ્લાના લુણાવાડા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે નવીન ફરતું પશુ દવાખાનાનું લોકાર્પણ અને પ્રસ્થાન કરાવાયું હતું. વિરણીયા વિસ્તારના ૧૦ ગામોના પશુપાલકોને સરકારની ફરતા પશુ દવાખાનાની સેવાનો લાભ મળશે.
આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે પશુપાલકો અને ખેડૂતો પોતાના પશુઓ તંદુરસ્ત હોય ત્યારે જ સમૃધ્ધ બની શકે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જેમ માનવીઓની ચિંતા કરી છે એવી જ રીતે પશુઓની પણ ચિંતા કરી છે. સરકાર યોજનાની મદદથી આપના પશુઓની પણ કાળજી રાખે છે. હવે તમારે કોઈ ડોકટર શોધવા નહીં જવુ પડે માત્ર ૧૯૬૨ ઉપર કોલ કરશો એટલે મોબાઈલ વાન આપના આંગણે હાજર થશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પશુપાલન અધિકારી એમ.જી.ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી બકુલાબેન ચૌહાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર