પાલીતાણા ખાતે સૌ પ્રથમવાર ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું, ચિત્ર પ્રદર્શનમાં સહભાગી થનાર ચિત્રકારોનું યથોચિત સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર

પાલીતાણા તળેટી ખાતે શેત્રુંજય યુવક મંડળ દ્વારા આદિ જિન ચિત્ર ખંડમાં ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર પ્રદર્શન દ્વારા પાલીતાણામાં સૌપ્રથમવાર ચિત્ર સ્પર્ધા યોજી પાલીતાણા તાલુકાના લોકોમાં રહેલ હુન્નરને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાલીતાણા તળેટી ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શનને સારો આવકાર મળ્યો હતો અને બે દિવસીય પ્રદર્શનને અંદાજિત છ હજાર જેટલા લોકોએ નિહાળ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં પાલીતાણા તાલુકાના ચિત્રકારોએ બનાવેલ પેઇન્ટિંગ નિદર્શિત કરવામાં આવ્યાં હતાં.આજે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ચિત્રકારોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં સહભાગી થયેલા ચિત્રકારોને પાલીતાણા નગરપાલિકાના હોદ્દેદારો તેમજ તાલુકાના હોદ્દેદારોના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના મેનેજર તેમજ જૈન સંઘના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારને દસ હજાર રૂપિયાનો ચેક તેમજ બે નંબર થી દસ નંબરના ચિત્રકારોને બે – બે હજારના પ્રોત્સાહક ચેક અર્પણ કરવામાં આવ્યાં હતાં. કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ચાંદીના સિક્કાઓ સહિતની ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. સાથોસાથ લક્કી ડ્રો કરી એક હજારની કૂપન ૧૦ લોકોને આપવામાં આવી હતી. ચિત્રકારોનું બહુમાન કરવાનાં કાર્યક્રમમાં શત્રુંજય યુવક મંડળના તમામ સભ્યો, ખાસ જહેમત ઉઠાવનારા હર્ષ શાહ સહિતના યુવકો હાજર રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment