પૂજય બાપૂના ૧૫૧માં જન્મદિનની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ-ભૂમિપૂજન સંપન્

હિન્દ ન્યૂઝ, દાહોદ,

 તા. ૨ : પૂજય બાપૂના ૧૫૧માં જન્મદિનની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિવિધ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ-ભૂમિપૂજન કર્યા છે, ત્યારે દાહોદ જિલ્લાની પણ ૧૮૨ લાખના ખર્ચે તૈયાર થયેલી ૨૬ આંગણવાડીઓનું ઇ-લોકાર્પણ અને ૪૬૭ લાખના ખર્ચે તૈયાર થનાર ૬૭ આંગણવાડીઓનું ઇ-ભૂમિપૂજન પણ સંપન્ન થયું છે.
તદઉપરાંત પૂજય બાપૂના જન્મદિવસને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે જિલ્લામાં ૨૫૩ જગ્યાએ યોજાયેલા હેન્ડ વોશ કેમ્પેંનમાં ૨૫૩૫૦ મહિલાઓએ ભાગ લઇને રાજયનો અનોખો રેકોર્ડ સ્થાપવામાં પોતાનું યોગદાન આપ્યું છે. ઉપરાંત આજે યોજાયેલા જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અન્વયે ૪૬ પોષણકર્મીઓને રૂ. ૧૪.૬૦ લાખ જેટલી રકમના ઇનામ આપીને તેમની કામગીરી બીરદાવવામાં આવી છે. દાહોદ જિલ્લામાં આ સમગ્ર કાર્યક્રમ વિવેકાનંદ સંકુલ ખાતે આવેલા પંડિત દિનદયાલ હોલ ખાતે રાજયમંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.
રાજયમંત્રી ખાબડે આજના દિવસે પૂજય બાપૂનું પુણ્ય સ્મરણ કર્યું હતું અને જણાવ્યું કે, કોરોના મહામારીના સમયે સ્વચ્છતા ત્યાં પ્રભૂતાના બાપૂના મંત્રને આપણે જીવનમાં ઉતારવો જ રહ્યો. આજના દિવસે દાહોદની પચીસ હજારથી પણ વધુ મહિલાઓએ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ અંતર્ગત મહત સંદેશ આપવા માટે હેન્ડવોશ અભિયાનમાં જોડાયા છે તેમની કામગીરીને બિરદાવું છું. કોરોના મહામારીમાં પણ ગામેગામ-ઘરે ઘરે આંગણવાડી કાર્યકતાઓ પહોંચયા છે અને કોરોના સંક્રમણને જિલ્લામાં નિયંત્રણમાં રાખવામાં તેમનું મોટો ફાળો રહ્યો છે.
તેમણે જણાવ્યું કે, જિલ્લાને નવી ૨૬ આંગણવાડી મળી છે અને ૬૭ આંગણવાડીનું ભૂમિપૂજન મુખ્યમંત્રીએ કર્યું છે ત્યારે આંગણવાડી કાર્યકતાઓ વધુ જોમ અને ઉત્સાહ સાથે કામ આરંભે. દાહોદમાં કુપોષિત બાળકોની સંખ્યા જે તેર હજાર હતી તે આંકડો બે હજાર સુધી પહોંચ્યો છે તેને શૂન્ય કરવાની મોટી જવાબદારી પણ આંગણવાડી કાર્યકતાઓ પર છે. ગત મહિને ઉજવાયેલા પોષણ માસ દરમિયાન ૨૯૨૭૯૮ સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓ, બાળકોને ઘરે ઘરે જઇને પૂરક પોષણ પૂરો પાડવામાં આવ્યો છે. આવી સુંદર કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન. ગરબાડા-ધાનપુરમાં પણ સગર્ભા-ધાત્રી માતાઓને બપોરનું ગરમ જમવાનું મળે તે માટે ખૂબ સરસ પાયલોટ પ્રોજેકટ ચાલી રહ્યો છે. આપણે દાહોદને કુપોષણ મુક્ત બનાવવા સંકલ્પબદ્ધ થઇને સંગઠિત થઇને પુરષાર્થ થકી સુપોષિત જિલ્લો બનાવીશું તેમ મને સપષ્ટ જણાય રહ્યું છે.
આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, દાહોદ જિલ્લો મહાત્વાકાંક્ષી જિલ્લો છે ત્યારે આંતરમાળખાકીય સુવિધાઓ માટે સમગ્ર દેશમાં દાહોદ પ્રથમ સ્થાને આવતા ૩ કરોડનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે ત્યારે સમગ્ર વહીવટી તંત્રની ટીમને અભિનંદન આપું છું. આ અવસરે દરેક આંગણવાડી કાર્યકતા જિલ્લામાં એક પણ બાળક કુપોષિત ન રહે એ માટે પ્રતિજ્ઞા લે અને આ સંકલ્પને ચરિતાર્થ કરે.
આ પ્રસંગે હેન્ડવોશ માટે લોકજાગૃતિનું મહત્વનું કામ કરનાર, ઘરે ઘરે જઇને ૧૦૮૮૯ લોકોને હેન્ડવોશની પ્રવૃતિ કરાવનાર સ્વંયસેવક વિનોદ પ્રજાપતિનું પણ મંચ પર મહાનુભાવોએ પ્રશસ્તિપત્ર આપીને તેમની કામગીરીને બિરદાવી હતી. સાથે કાર્યક્રમમાં હેન્ડવોશ કાર્યક્રમમાં જોડાનાર ૧૦ કન્યાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા પોષણ માસ દરમિયાન યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનારી દિકરીઓનું પણ મંચ પર પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ મહાનુભાવો સાથે પોષણ શપથ લીધા હતા અને કાર્યક્રમની શરૂઆતમાં પોષણ આરતી પણ કરવામાં આવી હતી. સાથે દાહોદ-ર ઘટકના આંગણવાડી કાર્યકર કાવેરીબેન રાઠોડ અને તેડાગર બેન શકુડીબેન પણદાને જિલ્લા કક્ષાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉપરાંત પોષણ માહ દરમિયાન વાનગી હરીફાઇના સ્પર્ધક પોષણકર્મીઓને પણ ઇનામ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશભાઇ પારગી, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ રમણભાઈ, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃતિ સમિતિના ચેરમેન દક્ષાબેન પરમાર, કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, આઇસીડીએસ વિભાગના અધિકારી કમલેશ ગોસાઇ, ડીઆરડીએના નિયામક સી.બી. બલાત સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, પોષણકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

બ્યુરો ચીફ (દાહોદ) : વિજય બાચાણી

Related posts

Leave a Comment