હિન્દ ન્યુઝ, વડોદરા
કલ્યાણનગર ખાતે આકાર પામી રહેલા આધુનિક સ્મારકના મ્યુઝિયમ, લાઈબ્રેરી અને મલ્ટીમીડિયા પ્રકલ્પની કામગીરી આખરી તબક્કામાં: પ્રકલ્પ સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરાના કમાટીબાગ (સયાજીબાગ) – કલ્યાણનગર ખાતે નિર્માણ પામી રહેલા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર “સંકલ્પભૂમિ સ્મારક” પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિ અંગે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે સામાજિક વિષમતા અને કુરિવાજો દૂર કરી સામાજિક સમરસતા લાવવા માટે વડોદરાના કમાટીબાગ ખાતે વડના વૃક્ષ નીચે બેસીને જે ઐતિહાસિક સંકલ્પ લીધો હતો, તે પવિત્ર સ્થળને સ્મારક તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સંકલ્પભૂમિ સ્મારકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં રજૂ થયેલી વિગતો અનુસાર, ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારક પ્રોજેક્ટ અંતર્ગત લાઈબ્રેરી, ઈન્ટીરીયર, મ્યુઝિયમ ડિઝાઈન, સ્ટેચ્યુ, સીસીટીવી વગેરે સુવિધાઓ માટે જોગવાઈ કરવામાં આવી છે.
સમીક્ષા દરમિયાન જણાવાયું હતું કે, સંકલ્પભૂમિ સ્મારક ખાતે ફેઝ-૨ અંતર્ગત મ્યુઝિયમ ડિઝાઈન, ક્યુરેશન, ડેવલપમેન્ટ, સ્ટેચ્યુ, ઈન્ટીરીયર અને ફર્નિચરનું મોટાભાગનું કામ આખરી તબક્કામાં પહોંચ્યું છે. હાલમાં વોલ મ્યુરલ્સ, મેનિકવિન્સ, હાયપર રીઅલીસ્ટિક સેટનું થીમ આધારિત ફાઇનલ પ્લેસિંગ અને ફિનિશિંગ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત, ઓડિટોરિયમમાં એકાઉસ્ટિક પેનલિંગ, ફોલ્સ સિલિંગ અને એનિમેટ્રોનિક્સ ઇન્સ્ટોલેશન તથા પ્રોગ્રામિંગ સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે.
મ્યુઝિયમમાં આવતા મુલાકાતીઓ માટે ડિજિટલ અને મલ્ટીમીડિયા અનુભવ પૂરો પાડવા માટે ટીવી પ્રોગ્રામિંગ, લાઈટિંગ પ્રોગ્રામિંગ તથા ઓડિયો ગાઈડ, ક્યુ.આર. સ્કેનર અને મોબાઈલ એપ્લિકેશનનું કામ પ્રગતિ હેઠળ છે. સ્મારકના કેન્દ્ર સ્થાને ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨ ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થળ પર પ્લેસમેન્ટ કરી પ્લેટફોર્મ ફિનિશિંગ અને તક્તિ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ ઉપરાંત, સ્મારક ખાતે આવતા પ્રવાસીઓની સગવડ માટે કમાટીબાગ ખાતે રૂ. ૩૬ લાખના અંદાજિત ખર્ચે સુશોભન અને પ્લેટફોર્મ માટે વહિવટી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે જ, સ્મારકની કેફેટેરિયાનું સંચાલન ‘મૈત્રી સખી મંડળ’ને સોંપવાની સૂચના પણ આપવામાં આવી છે. મ્યુઝિયમના આગાઉથી સંચાલન માટે એજન્સીની પસંદગી કરી જરૂરી તાલીમ આયોજિત કરવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓ અને ઇજનેરોને બાકી રહેલી તમામ કામગીરી ઉચ્ચ ગુણવત્તા સાથે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં રાજ્ય મંત્રી ડો. મનીષાબેન વકીલ, સચિવ હર્ષદ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કલેકટર ડો. અનિલ ધામેલિયા, અગ્રણી જયપ્રકાશ ભાઈ સોની સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
