૧૪૫-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી-૨૦૨૬ મતગણતરીની તૈયારીઓ

હિન્દ ન્યુઝ, બરોડા 

    ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે મતગણતરીની પ્રક્રિયાને શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શી વાતાવરણમાં પૂર્ણ કરવા માટે વડોદરા ચૂંટણી તંત્ર દ્વારા તમામ આયોજન આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. માંજલપુરના ભવન્સ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં આજે તા.૦૩/૦૮/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યેથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવનાર છે.

મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ ૧૪ એવીએમ મશીનો અને ૦૧ પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૬૦ મતદાન મથકોના મતોની ગણતરી ૧૪+૦૧(પોસ્ટલ બેલેટ)ટેબલો પર તબક્કાવાર કુલ ૧૯ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સવારે ૮:૦૦ વાગ્યે સર્વપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. ત્યારબાદ ઈ.વી.એમ.ના મતોની ગણતરી શરૂ કરવામાં આવશે.  

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ મતગણતરી કામગીરી માટે ૪૨ ગણતરી સ્ટાફ તથા દરેક ટેબલ દીઠ સુપરવિઝન માટે ૪૨ માઇક્રો ઓબ્ઝર્વર્સની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત, ચૂંટણી સંચાલનને લગતી અન્ય કામગીરી માટે ૨૦૦ જેટલા અન્ય ચૂંટણી સ્ટાફના કર્મચારીઓ સતત સેવામાં રહેશે. ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરાશે.  

મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ૨૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ફરજ બજાવશે. 

Related posts

Leave a Comment