હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અલીયાબાડા ગામે ₹૧૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં અત્યાધુનિક માર્ગ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જામનગરને આધુનિક બનાવવા માટે વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે. સરકારની સવલતોનો લાભ છેવાડાના માનવી સુધી પહોચી રહ્યો છે. ગામડાઓમાં પણ પાકા રોડ રસ્તાઓની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અલિયામાં રોડ તથા મેજરબ્રિજની સુવિધાથી આજુબાજુના ગામના લોકોને પણ ફાયદો થશે. તો રેલવે સ્ટેશન નજીક રોડ બનતા પેસેન્જરોને પણ સ્ટેશન સુધી પહોંચવામાં સરળતા રહેશે અને સમય પણ બચશે. લોકોની તમામ જરૂરિયાતો સંતોષાય તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર અવિરત કામગીરી કરી રહી છે.
મંત્રીએ ખાતમહૂર્ત કરેલા કામોમાં ₹૫ કરોડના ખર્ચે અલિયાબાડા – વીંજરખી રોડ પર ₹૫ કરોડના ખર્ચે મેજરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ બ્રિજ ૯૬ મીટર લંબાઈ અને ૭.૫૦ મીટર પહોળાઈનો તથા આર.સી.સી. સોલીડ સ્લેબ બ્રિજ જે ૧૨ મીટર લંબાઈના ૮ ગાળાનો હશે.
આ ઉપરાંત ₹૪ કરોડના ખર્ચે અલિયાબાડા વીંજરખી રોડ પર રિસર્ફેસિંગની કામગીરી તેમજ ૧૨૫૦ મીટરની લંબાઈ અને ૬.૧૦ મીટરની પહોળાઈમાં સીસી રોડની કામગીરી કરવામાં આવશે.
તથા અલિયા રેલવે સ્ટેશન રોડ પર ₹૧ કરોડના ખર્ચે ૫.૫ મીટરની પહોળાઈમાં સીસી રોડની કામગીરી તેમજ જરૂરિયાત મુજબ બોક્સ કટિંગ, મેટલકામ, પીપીસીની તથા વેરીકોટિંગની કામગીરી કરવામાં આવશે. ઉપરોક્ત બ્રિજ અને રસ્તાના કામો થકી અલિયા તથા આજુબાજુના ગામના રહેવાસીઓની સુવિધામાં વધારો થશે તથા નવા રસ્તાનો લાભ મળશે.
કાર્યક્રમમાં પોષણમાસ અંતર્ગત મંત્રીના હસ્તે આંગણવાડીના બાળકોને પોષણકીટ અર્પણ કરવામાં આવી હતી.
