હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે લેવાના પગલાં જણાવવામાં આવ્યા છે. જે મુજબ કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરો પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવુ જોઈએ.
પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે. અસર પામેલા છોડની ફરતે ૧% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરીયાનું દ્રાવણ રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે. આ સુકારાના નિયંત્રણ માટે આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતનાં ૧૨ કલાકમાં જ કરવી. જેથી છોડ ફરીથી જીવિત થઇ શકે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
(માહિતી સોર્સ: મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી)
