હિન્દ ન્યુઝ, વડનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર શ્રાવણ માસના આજના ત્રીજા સોમવારે વડનગર સ્થિત પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને રાષ્ટ્ર અને રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મંદિર પરિસરમાં યાત્રી સુવિધા વિકાસના પ્રથમ તબક્કાના રૂ. 18 કરોડના કામો અને બીજા તબક્કામાં રૂ. 4.22 કરોડના અનુદાનથી ગર્ભ ગૃહ, સભામંડપ, શિખર તથા યજ્ઞશાળા અને સ્વાગત કેન્દ્રના કામો પૂરા થયા છે. ગુજરાત પ્રવાસન નિગમે તાજેતરમાં જ રૂ.5.53 કરોડના ખર્ચે હાટકેશ્વર મંદિરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વને પ્રસ્તુત કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ કાર્યરત કર્યો છે.
