હિન્દ ન્યુઝ, જામનગર
કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, રાજકોટના નિયંત્રણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૫૧ (કે) ત્રણ પાટીયા-જામજોધપુર-ખટીયા-કાલાવડ રોડ પર સી.ડી.૮૫/૨, ચેઇનેજ કિ.મી.૮૪/૫૦૦ થી ૮૪/૬૦૦, શેઠવડાળા-નરમાણા વચ્ચે ક્રિષ્ના સ્ટોન ક્રશર પાસેનો માઈનોર બ્રિજ ક્રિટીકલ સ્થિતિમાં હોય, ત્રાણ પાટીયા-જામજોધપુર-ખટીયા-કાલાવડ રોડ પર એમબ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાય તમામ ભારે/ઓવરલોડેડ વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જે મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૫૧ (કે) ત્રણ પાટિયા – જામજોધપુર – ખટિયા – કાલાવડ વાળો રોડ એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાયના ભારે / ઓવરલોડેડ વાહનો માટે બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે ભાણવડથી કાલાવડ તરફ જતા ભારે વાહનો માટે ભાણવડ-ત્રણ પાટિયા- લાલપુર બાયપાસ – ઠેબા ચોકડી –કાલાવડ રોડ તથા કાલાવડથી ભાણવડ તરફ જતા ભારે વાહનો માટે કાલાવડ – ઠેબા ચોકડી – લાલપુર બાયપાસ – લાલપુર – ત્રણ પાટિયા – ભાણવડ રોડ ઉપયોગમાં લેવાનો રહેશે.
આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
