હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વેરાવળના કાજલી ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)ની તેમજ વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી શ્યામ મરીન ફૂડ્સ અને દીપમાલા ઈન્ડસ્ટ્રિઝ ઔદ્યોગિક એકમોની આજે સવારે મુલાકાત લીધી હતી.
મંત્રીએ એ.પી.એમ.સી.ની મુલાકાત લઇ શેડ અને ખેડૂતો માટે ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પાકના વાવેતર પાકની ખરીદ સ્થિતિ વિશે ચર્ચા કરી ખેડૂતોને કોઈ અગવડતા ન પડે એ રીતે વ્યવસ્થિત અને સુનિયોજિત સંચાલન વિશે ઉપસ્થિત સર્વને માર્ગદર્શિત કર્યા હતાં.
વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી શ્યામ મરિન ફૂડ્સ અને દીપમાલા ઈન્ડસ્ટ્રિઝ ઔદ્યોગિક એકમોની મુલાકાત લઈ મંત્રીશ્રી મત્સ્ય ઉત્પાદનની પ્રક્રિયામાં લેબોરેટરી, સ્ટરિલાઈઝેશન, રસીકરણ, ઉષ્માયન જેવી વિવિધ પ્રક્રિયાઓથી અવગત થયાં હતાં.
મંત્રીએ મત્સ્ય ઉત્પાદનની પ્રક્રિયા અને ફિશ પ્રોડક્ટની નિકાસ, ઉદ્યોગ કામદારોની સુરક્ષા, ફિશ પ્રોડક્ટના મૂલ્યવર્ધન સહિતના મુદ્દાઓ વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું.
કંપનીના પ્રતિનિધિએ મંત્રીને ભારતની રીફ માછલીઓ, પર્ચ માછલીઓ, સમુદ્રી ઝીંગા સહિત ભારતની અન્ય પ્રજાતિની માછલીઓ અને મત્સ્ય સંપદાઓ વિશે અવગત કર્યાં હતાં.
મંત્રીની આ મુલાકાત દરમિયાન એ.પી.એમ.સી.ના ચેરમેન ગોવિંદભાઈ પરમાર, સેક્રેટરી કનકસિંહ પરમાર, ઉદ્યોગ વિભાગના એચ.એમ.વાઘેલા, અગ્રણી સંજયભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંગભાઈ પરમાર, જનપ્રતિનિધિઓ, ખેડૂતો, મત્સ્ય જગત સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
