હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ જનજીવન થાળે પાડવા માટે તમામ વિભાગો દ્વારા સુચારુ ઢબે કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા 24*7 અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને સતત મુલાકાત અને કામગીરી હાથ ધરવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, ડી.પી.સી. યજ્ઞેશ ખારેચા, જિલ્લા એમ.પી.એચ.એસ. વી.પી.જાડેજા તથા ડી.આઈ.ઈ.સી.ઓ. નીરજ મોદીની ટીમ દ્વારા જિલ્લાના મોટી ખાવડી, પડાણા, મેઘપર, કાનાલુસ વિસ્તારોમાં અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય સર્વે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત, પ્રાઈવેટ ડોકટરો સાથે મુલાકાત અને પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામ વગેરે આવશ્યક કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ તાલુકા કક્ષાના આરોગ્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.