હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનના નેતૃત્વમાં રાજ્ય સરકારે રાજ્યના સર્વ સમુદાયના સર્વાંગી ઉત્થાન માટે અનેક યોજનાઓના માધ્યમથી નક્કર પુરુષાર્થ આદર્યો છે. તેના નક્કર પરિણામોની અનુભૂતિ અનેક છેવાડાના લોકોને થઈ છે. આજે રાજ્ય સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજારો ઘર વિહોણા ગરીબ કુટુંબો સુધી વિકાસના ફળો પહોંચવા લાગ્યા છે. સરકારના નક્કર પ્રયાસોથી અસંખ્ય ઘર વિહોણા પરીવારોને પાકા ઘરના ઘર મળી રહ્યા છે.જેમાં વેરાવળના વતની પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના લાભાર્થી નાયડૂ જયશ્રીબેનને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે.
જયશ્રીબેન કાચા મકાનમાં પડતી મુશ્કેલીઓની વાત કરતા જણાવ્યું હતું કે, પહેલા અમારે જર્જરિત નળીયાની છતવાળું કાચું મકાન હતું. જેને લીધે ચોમાસામાં અને વાવાઝોડામાં અમે ખૂબ જ હેરાન થતાં હતાં. અમને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત રૂ. ૩.૫૦ લાખની સહાય મળી છે. સરકારે કરેલી સહાયની મદદના લીધે જર્જરિત નળીયાવાળા કાચા મકાનમાંથી પાકું ઘરનું ઘર બનાવી શક્યા છીએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા જેવા ઘરવિહોણા અનેક પરીવારોને પાકું મકાન બનાવવા સરકાર સહાય કરી રહી છે. તે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
