નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેત રહેવા કલેક્ટર વિજય ખરાડીની અપીલ

દાહોદ,

 

તા. ૬ : દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કલેક્ટર  વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેતી દાખવવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ કેસો અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરી વિસ્તારો – કન્ટેન્ટમેન્ટ એરીયામાં જઇને પરત આવનારા નાગરિકોમાં વધુ જણાયા છે. માટે શહેરી વિસ્તારોવાળા જિલ્લામાં જવાનું ટાળવું, અનિવાર્ય કારણોસર જો જવું જ પડે તો માસ્ક, સેનિટાઈઝર જેવી તમામ સુરક્ષાની માર્ગદર્શિકાનું પાલન કરીને જ જવું. કામ પણ ઝડપથી આટોપી લઇને પરત ફરવું હિતાવહ છે. આવા નાગરિકોને જો એક બે દિવસમાં કોરોનાના લક્ષણ જણાય, તાવ-શરદી-ખાંસી જેવા લક્ષણો જણાય તો ખાનગી દવાખાનામાં સારવાર કરાવવાના સ્થાને તુરત નજીકના સરકારી દવાખાનામાં તપાસ કરાવવી જોઇએે. ઘણી વખત ખાનગી દવાખાનામાં સારવારને કારણે બે-ચાર દિવસો વેડફાઇ જતા હોય છે.
તેમણે જણાવ્યું કે, જિલ્લામાં ગીચ રહેણાંક વિસ્તારો કે સોસાયટીમાં લોકોએ ખાસ સાવચેતી રાખીને માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ કરવો. શાકભાજી વેચતા ફેરીયાઓ, વેપાર ધંધા કરતા હોય તેઓએ પણ ઉક્ત લક્ષણો જણાય તો તુરત જ નજીકના સરકારી દવાખાના કે ઝાયડસ સીવીલ હોસ્પીટલમાં તપાસ કરાવવી જોઇએ. વેપારીઓ, ફેરીયાઓ કે કોઇ પણ ધંધો કરતા લોકો અનિવાર્યપણે માસ્ક પહેરે, હાથમોજા પહેરે અને આ બાબતે સરકારી સૂચનાઓનું ચુસ્ત પાલન કરે.
તેમણે જણાવ્યું કે, કોવીડ-૧૯ બાબતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શીકાનું ચુસ્ત પાલન કરવું જોઇએ. જે નાગરિકો-વેપારીઓ માસ્ક, સેનિટાઇઝર, સામાજિક અંતર વગેરે નિયમોનૂં પાલન નથી કરતા તેમની સામે કડક પગલા લેવામાં આવશે. કાયદાઓ પ્રત્યે બેદરકારી રાખનાર નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે નગરપાલિકા અને પોલીસ વિભાગને પણ સૂચના આપવામાં આવી છે.

રિપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ

Related posts

Leave a Comment