જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર 

      બી.એ.શાહ જિલ્લા કલેક્ટર અને પ્રમુખ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, જામનગરના અધ્યક્ષ સ્થાને સમિતીની ત્રિમાસિક બેઠક અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સંભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના શ્રી યોગેશ સોનીએ પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશનથી રજુ કરી હતી તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે કલેક્ટર સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.

બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરના કમાન્ડર સંદિપ જયસ્વાલે “સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ” અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં ૩૯ પરિવારોને રૂ.૧૬,૪૮,૩૦૦ ની માસિક આર્થિક સહાય, ૦૨ પરિવારોને રૂ.૫૫,૦૦૦ દીકરી લગ્ન સહાય તેમજ ૦૭ પરિવારોને અંતિમ ક્રિયા સહાય પેટે રૂ.૭૦ હજાર મળી કુલ ૧૭,૭૩,૩૦૦ ની સહાય ચુકવવામાં આવેલ છે.

ઉક્ત બેઠકમાં કલેક્ટરએ પુર્વ સૈનિકો તથા સ્વ.સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રીતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં મહત્તમ ફાળો આપનાર કુલ ૪૫ દાતાશ્રીઓનું કલેકટર અને પ્રમુખ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આપવામાં આવેલ ટારગેટની સરખામણીએ જામનગરની જાહેર જનતાએ ૧૧૦% નો ફાળો ઉદાર હાથે આપેલ છે અને આજ રીતે જામનગરની જાહેર જનતાને તથા કચેરીઓને કલેક્ટરએ ચાલુ વર્ષમાં પણ આર્મડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ માટે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, ઈન્ડીયન આર્મી, નેવી અને એર ફોર્સના અધિકારીઓ તથા હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, એર ફોર્સ એસોસીએશન જામનગરના પ્રમુખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment