ગીર સોમનાથના છાત્રોડા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું કુમકુમ તિલક કરી કરાયું સ્વાગત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના છાત્રોડા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી. છાત્રોડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. ઉપરાંત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો અને સ્થળ પર જ ૯ નવા આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ આ યોજનાઓની મહત્તમ જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગીર સોમનાથ જિલ્લામાં ભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપે છાત્રોડા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ પણ સાધવામાં આવ્યો હતો.

 ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી અને કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં અગ્રણી માનસિંગભાઈ પરમાર, સરમણભાઈ વી સોલંકી, નરેન્દ્રસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના સભ્યઓ સહિત છાત્રોડા સરપંચ કરશનભાઈ ઝાલાના પ્રતિનિધિ તેમજ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment