જામનગર જિલ્લાના મકાન માલિકો માટે પરપ્રાંતીય શ્રમિકો/ઘરઘાટીને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર 

      પ્રવર્તમાન સમયમાં મોટા ભાગના મકાન-માલિકો પોતાના ઘરકામ માટે પરપ્રાંતીય શ્રમિકો/ઘરઘાટી/અન્ય જિલ્લાના લોકોની નિમણુંક કરે છે. પરપ્રાંતીય શ્રમિકો/ઘરઘાટી જે જગ્યાઓ પર કામ કરે છે, ત્યાં તેઓ અવાર-નવાર આજુબાજુમાં રહેતા લોકોના ઘર અને ધંધાના સ્થળે ચોરી, લૂંટફાટ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ કરીને નાસી જાય છે. જેથી લોકોના જાન-માલ અને સંપત્તિ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ પરપ્રાંતીય મજૂરોના માલિકો પાસે તેમના ટૂંકા નામ સિવાય કોઈ માહિતી ન હોવાથી ગુનેગારોને પકડવું ખુબ મુશ્કેલ બની જાય છે. 

જેથી શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકોની જિંદગી-સલામતી જળવાઈ રહે તે જરૂરી જણાય છે. તેથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવે છે કે, જામનગર જિલ્લામાં કોઈપણ મકાન માલિક પોતાના ઘરકામ માટે પરપ્રાંતીય મજૂરો તેમજ બીજા જિલ્લાના લોકોને કામ પર રાખતા પૂર્વે અત્રે દર્શાવેલા નમૂના મુજબના ફોર્મમાં જરૂરી વિગતો અને આધારો સંબંધિત પોલીસ સ્ટેશનને રૂબરૂમાં અથવા ટપાલથી મોકલી આપવાના રહેશે. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. ઉક્ત હુકમ આગામી તા.08/01/2024 સુધી અમલમાં રહેશે.

ઘરકામ માટે રાખેલા પરપ્રાંતીય વ્યક્તિની માહિતી માટે જોડવાના થતા આધાર પુરાવાની યાદી

(1) ઘરકામ માટે રાખેલ ઘરઘાટીનું પૂરું નામ, સરનામું, ઉંમર અને ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ.

(2) ઘરઘાટીનું હાલનું રહેણાંકનું સરનામું અને મોબાઈલ નંબર.

(3) ઘરઘાટી સાથે બીજા માણસો રહેતા હોય તો તેનું નામ-સરનામું.

(4) કોઈના મારફતે ઘરઘાટીને કામે રાખેલ હોય તો તેવા મધ્યસ્થીનું નામ-સરનામું.

(5) જો ઘરઘાટીએ અગાઉ કોઈ જગ્યાએ કામ કરેલ હોય તો તેના માલિકનું નામ-સરનામું.

(6) ઘરઘાટી જેને ત્યાં કામ કરતા હોય તો તેના માલિકનું નામ-સરનામું.

(7) જે ઘરઘાટીના સ્થાનિકમાં કોઈ ઓળખીતા વ્યક્તિ રહેતા હોય તો તેના નામ-સરનામાં અને મોબાઈલ નંબર.

(8) ઘરઘાટીના વતનનું પૂરું સરનામું, પોલીસ સ્ટેશન અને વતનમાં રહેતા માતા-પિતા અને ભાઈ-બહેનની વિગતો.

(9) જો શ્રમિક પરિણીત હોય તો તેના પતિ/પત્ની અને સસરાનું સરનામું.

(10) જે ઘરઘાટીને કામ પર રાખેલ હોય તેની ઊંચાઈ, દેખાવનું વર્ણન, અભ્યાસ અને ઓળખી શકાય તેવી શારીરિક નિશાની.

(11) ઘરઘાટીનો તાજેતરનો ફોટો-આ તમામ પૈકી શક્ય હોય તેટલી વિગતો મકાન માલિકે જમા કરાવવાની રહેશે.

Related posts

Leave a Comment