ગીર સોમનાથના ઉના ખાતે યોજાયો તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    ઉનામાં વરસીંગપુર રોડ ખાતે નગરપાલિકા યોગ સેન્ટરમાં ગીર સોમનાથ ખેતીવાડી શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ અનુસંધાને મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ યોજાયો હતો. જે અનુસંધાને તૃણધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ આવે એ હેતુસર કૃષિ પ્રદર્શનીનું પણ આયોજન કરાયું હતું.

આ મિલેટ મહોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે પોતાના પ્રાસંગિક વ્યક્તવ્યમાં સરકારશ્રીના મિલેટ ધાન્યોના પ્રચાર પ્રસાર માટે હાથ ધરેલ પ્રયત્નોને બિરદાવ્યા હતા. જ્યારે કારોબારી ચેરમેન ધીરૂભાઈ છગ દ્વારા આધુનિક જીવનશૈલીમાં મિલેટનો ઉપયોગ કરવા આગ્રહ કરેલ હતો. મદદનીશ ખેતી નિયામકશ્રી અશોકભાઈ ચૌધરી દ્વારા મિલેટ પાકો અંતર્ગત પ્રાકૃતિક ખેતી તથા મિલેટ પાકોમાં નેનો યુરિયાના ઉપયોગ વિષે માર્ગદર્શન આપેલ હતું.

આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારથી આવેલા કૃષિ નિષ્ણાતો દ્વારા તૃણ ધાન્ય પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા આધુનિક ખેતી પધ્ધતિ પર માર્ગદર્શન આપેલ તથા વિવિધ રીતે તેમાં મૂલ્યવર્ધન કરી તેઓ દૈનિક ખોરાકમાં મહત્તમ ઉપયોગ થાય તે માટે માર્ગદર્શન આપેલ હતું. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂત દ્વારા સફળ ખેતી પધ્ધતિ પરના પોતાના અનુભવો વર્ણવ્યા હતા તથા આંગણવાડી બહેનો દ્વારા વિવિધ મિલેટ આધારિત વાનગીઓનું પ્રદર્શન કરેલ હતું. આ તકે પ્રગતિશીલ ખેડૂતોનું પ્રશસ્તિ પત્ર તથા શાલ દ્વારા અને આંગણવાડી બહેનોને ઇનામ તથા પ્રશસ્તિ પત્ર આપી મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમમાં ખેતીવાડી શાખા, બાગાયત શાખા, આઈ.સી.ડી.એસ. આત્માપ્રોજેક્ટ, ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક,ખેડૂત ઉત્પાદન સંગઠન, બિયારણ કંપની તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલની ગોઠવણી કરેલ હતી. કાર્યક્રમમાં ઉના તાલુકાના આશરે ૮૦૦ થી વધુ ખેડૂત ભાઈ-બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment