100.04 લાખનાં ખર્ચે નિર્માણ થયેલ પાટણ શહેર-1 અને 2 પેટા વિભાગીય કચેરીઓનું ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈનાં હસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈનાં વરદ હસ્તે પાટણમાં વીજ કંપની લિમિટેડની પેટા વિભાગીય કચેરીઓ પાટણ શહેર-1 અને 2 નું 100.04 લાખનાં ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. મંત્રીએ રીબીન કાપીને 600 ચો.મી. બાંધકામ એરિયા સાથેનાં આ અદ્યતન નવીન મકાનને ખુલ્લું મૂક્યું હતુ. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આયોજીત આજના લોકાર્પણ કાર્યક્રમમાં પાટણ શહેર-1 અને શહેર-2 ની પેટા વિભાગીય કચેરી દ્વારા શહેરમાં 68757 જેટલા વીજ ગ્રાહકોને 30 ફીડરો દ્વારા અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. અગાઉ વીજ સંબંધિત પ્રશ્નો માટે પાટણનાં લોકોને મહેસાણા જવું પડતું હતુ પરંતું હવે આ પેટા વિભાગીય કચેરી દ્વારા પાટણમાં જ તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. આજનાં લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત માન. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે, દેશમાં જ્યોતિગ્રામ થી શરૂ કરીને અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જીનીવામાં જે 0 કાર્બન એટલે કે રીન્યુએબલ એનર્જી વિશે વાત કરી હતી તેને પણ યાદ કરી હતી. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આગામી સમયમાં ગુજરાત 50% વીજળી સૌર અને વીજળીથી મેળવશે. આજે ગુજરાત 81% રૂફટોપ સાથે દેશમાં પ્રથમ ક્રમાંકે છે જે આપણાં સૌ માટે ગૌરવની વાત છે. પાટણનાં લોકોને આજે 108 મેગા વોટ સૌર વીજળીથી 5 કરોડ 78 લાખની રાહત મળી છે. આગામી સમયમાં પાટણમાં 4 નવા સબસ્ટેશન બનશે જેનાં થકી પાટણવાસીઓને ઘણો ફાયદો થશે. વીજળીનો સપ્લાય સાતત્યપુર્ણ રહે તે માટે પાટણ જિલ્લાને 345 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઊર્જા વિભાગ આપ સૌ સાથે છે અને સૌના સહકારથી ઉત્તર ગુજરાત વીજકંપની સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે રહેશે. આજનાં લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત માન. કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, આજનો દિવસ આપણાં સૌ માટે આનંદનો દિવસ છે. આજના દિવસે પાટણવાસીઓને મોટી ભેટ મળી છે. પહેલા વીજળીને લગતા કેટલાક પ્રશ્નો માટે મહેસાણા જવું પડતું હતુ પરંતુ આ બે નવીન પેટાવિભાગીય કચેરીઓના લોકાર્પણથી પાટણમાંજ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. આજે રાજ્ય સરકાર દરેક માનવીને વીજળી મળી રહે તે માટે સારામાં સારું કાર્ય કરી રહી છે. ગુજરાતમાં 24 કલાક વીજળી મળી રહી છે. ખેતીકામમાં ઉદ્યોગ ક્ષેત્રે વીજળી મળી રહે તે માટે સરકાર દ્વારા કાર્ય કરવામાં આવે છે. હવે દિનપ્રતિદિન વીજળી ક્ષેત્રે ગુજરાતમાં પ્રગતિ થઈ રહી છે. જે આપણા સૌ માટે ગર્વની બાબત કહેવાય. આજે પેટા વિભાગીય કચેરીઓના નવીન મકાનના લોકાર્પણ પ્રસંગે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના મંત્રી માનનીય કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, લોકસભા પાટણ સાંસદસભ્ય ભરતસિંહજી ડાભી, આઈ.એ.એસ. પ્રિન્સિપલ સેક્રેટરી ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ શ્રીમતી મમતા વર્મા, મેનેજીંગ ડીરેક્ટર જી.યુ.વી.એન.એલ. જય પ્રકાશ શિવહરે, ધારાસભ્ય પાટણ ડો.કિરીટભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ પાટણ શ્રીમતી સ્મિતાબેન પટેલ, કલેકટર અરવિંદ વિજયન, અધિક નિવાસી કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, મેનેજીંગ ડીરેક્ટર યુજીવીસીએલ અરુણ મહેશ બાબુ, મુખ્ય ઈજનેર (ઓપરેશન) યુજીવીસીએલ વી.એમ. શ્રોફ, મુખ્ય ઈજનેર (P & P) યુજીવીસીએલ જી.એચ.અન્જિનિયર તેમજ વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવીન બાંધકામ થયેલ પાટણ શહેર-1 અને શહેર-2 સબડિવીઝન • સમગ્ર પાટણ શહેરમાં 68757 જેટલા વીજ ગ્રાહકોને 30 ફીડરો દ્વારા અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. • કુલ 299 કિલો મીટર એચ.ટી.લાઈન પૈકી 29 કિલો મીટર અન્ડરગ્રાઉન્ડ કેબલ. • 66.88 કિ.મી. અન્ડરગ્રાઉન્ડ કેબલ કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ. યોજનામાં રૂ.10.79 કરોડના ખર્ચે સુચિત છે • 448 કિ.મી. એલ.ટી. લાઈન તેમજ 1434 વીજ ટ્રાન્સફોર્મરનો સમાવેશ સોલાર પ્લાન્ટ પાટણ વિભાગીય કચેરી ખાતે હાલમાં 60.57 વોટ ક્ષમતા ધરાવતા કુલ 20 સોલાર પ્લાન્ટ કાર્યરત છે. જેમાં 10835 કિ.વો.ની ક્ષમતા સાથે કુલ 3136 ગ્રાહકો સોલાર રૂફ ટોપ યોજના અંતર્ગત લાભાન્વિત છે. 13 કરોડના ખર્ચે બનશે નવીન સબસ્ટેશનો • સમોડા, મેરવાડા, ખોડાણા, માખલિયાપરા • 345 કરોડના ખર્ચે આર.ડી.એસ.એસ. યોજના અતર્ગત સ્માર્ટ મીટર, ફીડર બાયફર્કેશન, જુના ટ્રાન્સફોર્મર બદલવા, ઈન્ટર લીડીંગ, ક્રોસિંગ દુર કરવા, સ્પેશિયલ ટાઈપ અર્થીંગનો સમાવેશ થાય છે.

Related posts

Leave a Comment