હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીનાં પગલે ખેડૂત મિત્ર જોગ સંદેશ

હિન્દ ન્યુઝ, ભાવનગર

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તા.૫ માર્ચથી તા.૮ માર્ચ દરમિયાન માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં પણ થશે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા.૫ માર્ચને રવિવારે ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

ભાવનગર સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, જૂનાગઢ, અમરેલી, ગોર સોમનાથ અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી તા.૫ માર્ચે કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.

જેમાં કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/ તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કે.વી.કે. અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવો.

 

Related posts

Leave a Comment