રાજકોટ,
અરબી સમુદ્રમાં સર્જાયેલું નિસર્ગ વાવાઝોડું મુંબઇ તરફ ફંટાઇ ગયું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ન ટકરાતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ હવામાન વિભાગે વાવાઝોડાની અસરને લઇ ભારે પવન અને ભારે વરસાદ પડવાની સૌરાષ્ટ્રમાં આગાહી કરી છે. ત્યારે રાજકોટ બેડી માર્કેટ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેડી માર્કેટ યાર્ડ દ્વારા આગામી બે દિવસ સુધી ખેડૂતોએ પોતાનો પાક ન લઇ આવવા અપીલ કરી છે. ખેડૂતોને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં હાલ પ્લેટફોર્મમાં માલ રાખવામાં આવ્યો છે: યાર્ડના ચેરમેન યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, નિસર્ગ વાવાઝોડા અને વરસાદની 3 અને 4 તારીખની આગાહીને લઈ રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્રારા ખેડૂતોને બે દિવસ જણસી લઈને ન આવવા તાકીદ કરવામાં આવી છે. ખાસ જો જણસીની વાત કરીએ તો યાર્ડ ખાતે ખેડૂતોએ ઘઉં, મગફળી, કપાસ અને ચણા સહિતની આવકો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાર્ડમાં હાલ પ્લેટફોર્મમાં માલ રાખવામાં આવ્યો છે. જેથી વરસાદમાં જણસીને નુકસાન ન પહોંચે તે પ્રકારે તૈયારી કરવામાં આવી છે. અત્યારે માર્કેટિંગ યાર્ડમાં તોલ થાય તેટલો જ માલ રાખવામાં આવ્યો છે. આ સાથે 25 કરોડની સબસિડીની માંગ કરવામાં આવી છે અને આ સાથે સબસીડીની માંગ ટૂક સમયમાં સંતોષવામાં આવશે અને માર્કેટિંગ યાર્ડમાં નવા શેડ ઉભા કરવામાં આવશે. જેથી આવનારા દિવસોમાં યાર્ડમાં મોટા પ્રમાણમાં જણસી રાખી શકાય તેવી વ્યવસ્થા ઉભી થઈ શકે છે.
રિપોર્ટર : વિનુભાઇ ખેરાળીયા, રાજકોટ