સુરતની ટેક્ષટાઈલ માર્કેટ ખાતે ટેક્ષટાઈલ વ્યાપારીઓ દ્વારા ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ, ભવ્ય તિરંગાયાત્રામાં વર્ચ્યુલી જોડાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

હિન્દ ન્યુઝ, સુરત

સુરતના રિંગ રોડ ખાતે ટેક્ષટાઈલ વ્યાપારીઓ દ્વારા આયોજિત ભવ્ય તિરંગાયાત્રામાં વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ભારતના ત્રિરંગામાં માત્ર ત્રણ જ રંગો નથી, પરંતુ તે દેશના ગૌરવશાળી ભૂતકાળ, વર્તમાન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને ભવિષ્યના આપણા સપનાનું પ્રતિબિંબ છે. આપણો ત્રિરંગો ભારતની એકતા, ભારતની અખંડિતતા અને ભારતની વિવિધતાનું પ્રતિક છે. તિરંગા યાત્રાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, આપણો રાષ્ટ્રધ્વજ દેશના કાપડ ઉદ્યોગ, ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતિક છે. સુરતે હંમેશા કાપડ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો પાયો તૈયાર કર્યો છે. વડાપ્રધાનએ સુરતીઓ અને વિશેષત: કાપડ ઉદ્યોગકારોની સરાહના કરતા કહ્યું કે, સુરત એક વાર સંકલ્પ કરે છે તો એને કોઈ પણ કિંમતે પૂર્ણ કરવાનો મિજાજ અને તાકાત ધરાવે છે. મોજીલા સુરતીલાલાઓની દેશભક્તિ સરાહનાને પાત્ર છે. સુરતના લોકોએ સ્વતંત્રતાની ભાવના જીવંત કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનએ મહાત્મા ગાંધીજીને યાદ કરતા કહ્યું કે, બાપુના રૂપમાં ગુજરાતે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. આઝાદી પછી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો પાયો નાંખનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નાયકો ગુજરાતે આપ્યા. સ્વતંત્રતા સેનાનીઓએ તિંરગામાં દેશના ભવિષ્ય અને સ્વપ્નાઓ જોયા હતા.

આઝાદીના અમૃત્ત કાળમાં પણ રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રની એકતા અને ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. તિરંગો રાષ્ટ્રભાવનાની શક્તિ અને ભક્તિની પ્રતીતિ કરાવે છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ નવા સંકલ્પો અને નવી ઉર્જા આપશે. જનભાગીદારીના અભિયાનમાં નવા ભારતની બુનિયાદને મજબુત કરશે. સુરત પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે, તેના મૂળમાં સુરતીલાલાઓ છે. તા.૧૩ થી ૧૫મી દરમિયાન હર ઘર તિરંગા અભિયાનમાં દરેક જાતિ, પથના લોકો એકતાની ભાવના સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે વડાપ્રધાનએ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવા બદલ ‘સેવા હી લક્ષ્ય’ ગ્રુપના શ્યામાપ્રસાદ બુધિયા, સ્વયંસેવકો, ઉદ્યોગકારોને અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે, તિરંગાયાત્રામાં સુરતે લઘુ ભારતના દર્શન કરાવ્યા હતા. કપડાના વ્યાપારીઓ, શ્રમિકો, દુકાનદારો, ટ્રાન્સપોર્ટર્સ, સમગ્ર ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝ તિરંગાયાત્રામાં જોડાયા હતા. તિરંગામાં દરેક વર્ગના લોકોને જોડવાની તાકાત છે તે સુરતે સાબિત કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટિલ સહિત રાષ્ટ્રપ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment