શેત્રુંજી ડેમના કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરના પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમના કિનારે પાણીની સ્વચ્છતાનું અનોખું સફાઈ અભિયાન ધરવામાં આવ્યું હતું અને આ ડેમના કિનારે પડેલી દશામાની મૂર્તિઓ સહિતની પૂજાપા સહિતની સામગ્રીને ભારે આસ્થાપૂર્વક કિનારેથી દૂર કરવામાં આવી હતી.

તાજેતરમાં પાલીતાણાના પ્રાંત અધિકારી સિદ્ધાર્થસિંહ ગઢવી કોઈ કામે શેત્રુંજી ડેમના કિનારે ગયાં હતાં અને તેમણે અસ્તવ્યસ્ત પડેલાં કચરા તથા દશામાની મૂર્તિઓની દુર્દશા જોઈને ચિંતા વ્યક્ત કરી હતી કે, આપણાં આસ્થાના પ્રતિક એવી ભગવાનની મૂર્તિઓ આવી રીતે નધણીયાત અને અવાવરું જગ્યાએ પડી રહે તે યોગ્ય નથી. તેને ધ્યાનમાં રાખીને તેમણે ઉપસ્થિત સંસ્થાના પ્રતિનિધિઓને આ માટે કંઈક કરવું જોઈએ તેવું સૂચન કર્યું હતું.

તેમના આ સૂચનને વધાવી લઈને પાલીતાણાની સમાજસેવી સંસ્થાના કાર્યકરો અને સ્થાનિક ઉત્તર બુનિયાદી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયત્નો દ્વારા શેત્રુંજીને ડેમને કાંઠે પડેલા બિનજરૂરી કચરાને શ્રદ્ધાપૂર્વક દૂર કરીને તેનાં કિનારાને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યો હતો.

આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છતાને ખૂબ જ અગ્રતા આપે છે અને તેઓ પોતે પણ સ્વચ્છતાનો આગ્રહ રાખીને પોતે જે જગ્યાએ જાય ત્યાં જો કચરો જૂએ તો તેને દૂર કરવાનું ચૂકતા નથી.

આપણાં ધાર્મિક સાહિત્યમાં પણ સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત વિજ્ઞાન પણ સ્વીકારે છે કે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં માખી, મચ્છર ચાચળ, ઈતરડી જેવાં જંતુઓ નહીં ઉદભવે અને રોગોનો ઉપદ્રવ નહીં થાય. તેનાથી માનવ શરીરની તંદુરસ્તી તો જળવાય જ છે સાથે-સાથે પ્રકૃતિની પણ તંદુરસ્તી જળવાય છે.

જેટલી પ્રકૃતિ સ્વચ્છ અને સુંદર હશે તો તેના ફળ પણ એટલાં જ મીઠાં હશે. તેને ધ્યાનમાં રાખીને આવનારી પેઢીને પણ સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ વાતાવરણ આપવા માટે પ્રકૃતિના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને ઉપયોગ કર્યા બાદ પણ તેનો વ્યવસ્થિત રીતે નિકાલ થાય તે પ્રત્યેની કાળજી રાખવી જોઈએ.

સવારે ૯-૦૦ થી ૧-૦૦ વાગ્યા સુધી સ્વયંભૂ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સરકારી કર્મચારી સહિત શેત્રુંજી ડેમ ઉત્તરબુનિયાદીના બાળકો સહિત શિક્ષકો, આચાર્યો તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત કર્મચારીગણે જોડાઈને શેત્રુંજી નદીમાં પડેલ નકામો કચરો અને દશામાંની મૂર્તિને આસ્થા સાથે બહાર કાઢવાનું કાર્ય કર્યું હતું‌.

આ અભિયાન સફળ બનાવવાં માટે પ્રાંત અધિકારી સિદ્ધાર્થસિંહ ગઢવી ગઢવીએ સૌનો આભાર માનવા સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

Leave a Comment