ભગવાન જગન્નાથજીની ૩૭ મી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવતાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

હિન્દ ન્યુઝ  ભાવનગર

ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની ૩૭ મી રથયાત્રાને શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ તેમની સાથે ભાવનગરના નેક નામદાર મહારાજ વિજયરાજસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં.

‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’, હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’ ના ભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથ, ભ્રાતા બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૭.૫ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગરના નીજ મંદિરેથી નિકળ્યાં હતાં. શહેરનાં ભાવિકભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો.

શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, વર્ષમાં એકવાર ભગવાન સામેથી નગરજનોના ક્ષેમકુશળ પૂછવાં સામેથી લોકો વચ્ચે જાય છે. ભારતીય સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જેમાં ભગવાન પરિવારમાં માને છે અને પોતાના ભાઇભાંડુ સાથે લોકોના સામેથી ખબરઅંતર પૂછવાં જાય છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન મામાના ઘરે જાય છે અને પોતાના ઘરે પરત ફરે છે. આવું વિશ્વમાં માત્ર ભારતીય સંસ્કૃતિમાં જોવાં મળે છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન જગન્નાથની રથયાત્રા બે વર્ષના કોરોનાના કપરા સમય બાદ રંગેચંગે નીકળી રહી છે ત્યારે ભાવનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા ભાવનગરમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યો છે. રથયાત્રાથી આપણી ધર્મભાવના દ્વારા અનોખી શ્રધ્ધાના દર્શન થાય છે. આ શ્રધ્ધાથી આપણી સુષુપ્ત ચેતનાઓ જાગૃત થાય છે. 

કલેક્ટર યોગેશ નીરગુડેએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રા શહેરમાં નીકળવાની છે ત્યારે ભગવાન સૌને સુખ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

સુભાષનગર ભગવાનનાં મંદિર સામેથી રથની પૂજા, અર્ચન કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતાં અને ભગવાન જગન્નાથજીનાં દર્શનનો લાભ લીધો હતો. 

છેલ્લા ૩૬ વર્ષથી અષાઢી બીજના રોજ દેશની ત્રીજા ક્રમની અને રાજ્યમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે રથયાત્રા બંધ રાખવાની ફરજ પડી હતી, પરંતુ આ વર્ષ કોવિડની મહામારીનો ખતરો ટળતા વર્ષો જૂની પરંપરા મુજબ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૩૭ મી રથયાત્રા યોજાઇ રહી છે. 

રથયાત્રાનાં સમગ્ર આયોજન દરમ્યાન ભાવનગર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અલગ- અલગ જિલ્લામાંથી ૫ હજાર જેટલાં પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો. 

રથયાત્રામાં ચોક્કસ થીમ આધારિત ફ્લોટસનાં ટ્રકને રથયાત્રામાં જોડવામાં આવ્યાં છે. રથયાત્રા સાથે આરોગ્ય તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ પી.જી.વી.સી.એલ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમ, બ્લેક કમાન્ડો, ઘોડે સવાર પોલીસ તથા બી. એસ. એફ, સી. આર. પી. એફ. જવાનો જોડાયાં હતાઊ. આ રથયાત્રામાં હાઈટેક સાધનો-ઉપકરણોનો ઉપયોગ કરીને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

આ રથયાત્રાને સફળ બનાવવા માટે હરુભાઇ ગોંડલીયા અને તેમની ટીમેને મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધરીયાએ અભિનંદન આપ્યાં હતાં. 

ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા સમગ્ર ભાવનગરમાં તેના નિર્ધારિત રૂટ પર ફરી રાત્રિના નીજ મંદિર પરત ફરશે.

 આ રથયાત્રાના શુભારંભ પ્રસંગે ધારાસભ્ય સુ. વિભાવરીબેન દવે, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, સંતો- મહંતો, કોર્પોરેટરઓ , વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment