નર્મદા જિલ્લામાં નીતિ આયોગની એમપાવર કમિટી દ્વારા રૂા.૩.૦૦ કરોડનું એવોર્ડ ફંડ ફાળવીને વધુ ૫ (પાંચ) પ્રોજેક્ટસને મંજુર કરાયાં

હિન્દ ન્યુઝ, નર્મદા

      નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાન્તના અધ્યક્ષસ્થાને ગઇકાલે નીતિ આયોગની એમપાવર કમિટીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી. જેમાં ભારત સરકારના આરોગ્ય વિભાગના સેક્રેટરી, શિક્ષણ વિભાગના સેક્રેટરી, રૂરલ ડેવેલોપમેન્ટ વિભાગના સેક્રેટરી, એગ્રીકલ્ચર વિભાગના સેક્રેટરી, નર્મદા જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવ શ્રીમતી ડી.થારા અને જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી પી.ભારથી પણ જોડાયાં હતાં. રાજપીપલામાં જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતેથી જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત અમલીકરણ અધિકારીઓ પણ એમપાવર કમિટીની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયાં હતાં. જેમાં એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અંતર્ગત ડીસેમ્બર-૨૦૨૧ માં શિક્ષણ સેકટરમાં સારા ડેલ્ટા રેન્કિંગ માટે તાજેતરમાં જ ભારત સરકારનાં નીતિ આયોગ દ્વારા નર્મદા જિલ્લા માટે રૂા.૩.૦૦ કરોડનું એવોર્ડ ફંડ ફાળવવામાં આવેલ હતું. બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લામાં શિક્ષણ, પોષણ અને આરોગ્ય વિભાગની ટીમના અથાક પ્રયાસો દ્વારા આરોગ્યક્ષેત્રે સગર્ભા બહેનોના એનેમિયા ચકાસણી માટે હિમોગ્લોનીમીટર, બુજેઠા અને પીપલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે બેસિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સની વ્યવસ્થા, પોષણ સેકટરમાં ગરુડેશ્વર તાલુકાનાં ૯૨ ગામો માટે પ્રોજેક્ટ ઓન અર્લી ચાઈલ્ડહૂડ ડેવેલોપમેન્ટ, નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાની ૭૬ જેટલી આંગણવાડી કેન્દ્રોને અદ્યતન બનાવવાનો પ્રોજેકટ ઉપરાંત શિક્ષણક્ષેત્રે જિલ્લાની ૧૦ પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ સિસ્ટમ દ્વારા ઈ-લર્નિંગનો પ્રોજેકટ અને જુદા-જુદા તાલુકાઓની શાળાઓના ૮૦ ઓરડાની મરામત માટે જુદી- જુદી પાંચ દરખાસ્તો તૈયાર કરી નીતિ આયોગને મોકલી આપવામાં આવેલ હતી. જે અંગે જિલ્લા કલેકટર ડી.એ શાહ દ્વારા ઉક્ત પાંચ પ્રોજેક્ટસની અગત્યતા અંગે એમ પાવર કમિટીને વિસ્તૃત જાણકારી પુરી પાડીને સમજૂત કરવામાં આવ્યાં હતા.

નર્મદા જિલ્લાના તમામ પાંચેય પ્રોજેકટસને ભારત સરકારના જુદા-જુદા વિભાગો દ્વારા આવકારમાં આવેલ હતા અને આ કમિટી દ્વારા તમામ પ્રોજેક્ટ્સને મંજુરી આપી સત્વરે અમલીકરણ કરવાની સુચના આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટસ થકી જિલ્લાનાં લોકો માટેની સ્વાસ્થ્ય સુવિધાઓ સુદ્રઢ બનશે તેમજ જિલ્લામાં કુપોષણના પ્રમાણને ઝડપથી ઘટાડી શકાશે. શિક્ષણ સેકટરમાં મંજુર થયેલ દરખાસ્તનાં અમલીકરણથી સરકારી શાળાનાં અંદાજીત ૫ હજાર બાળકોને તેનો સીધો લાભ થશે અને તેના કારણે વિદ્યાર્થીઓના લર્નિગ આઉટકમમાં વધારો થશે. તેમજ નીતિ આયોગના ઈન્ડીકેટર્સમાં પણ ઝડપી સુધારો થઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ નીતિ આયોગની એમ પાવર કમિટી દ્વારા જિલ્લામાં ૧૮૭ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ સિસ્ટમ અને ઈ-લર્નિંગનાં રૂ.૬.૦૦ કરોડનાં પ્રોજેકટને મંજુર કરવામાં આવેલ હતા અને હાલમાં પણ જિલ્લાનાં તમામ પ્રોજેકટ્સ મંજુર થતા જિલ્લા કલેકટર ડી.એ.શાહે પ્રોજેક્ટ તૈયાર કરનાર જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામિત, જિલ્લા ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ ક્રિશ્નાબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે અને રીસર્ચ ઓફિસર એ.આર.શેખ તથા સમગ્ર “ટીમ નર્મદા”ને અભિનંદન પાઠવ્યાં હતાં. 

Related posts

Leave a Comment