મહેસાણા જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ,

રાજ્ય સરકાર દ્વારા અટલબિહારી વાજપેયીના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે આયોજીત સુશાસન સપ્તાહની ઉજવણી પ્રસંગે મહેસાણા જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલે જણાવ્યું હતું કે સરકાર અનુસૂચિત જાતિ, જન જાતિ તેમજ સમાજના નીચલા વર્ગને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા સતત પ્રયત્નશીલ છે. તેમણે આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકારે સુશાસન થકી છેવાડાના માનવીની વ્યથા-પીડાને વાચા આપી છે. સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે સંવેદનશીલ નેતૃત્વ દ્વારા સમાજનો કોઈ પણ વ્યક્તિ પછાત ન રહે, નબળો ન રહે, તે રીતે વિકાસ કર્યો છે અને તે દ્વારા છેવાડાના માનવીનું કલ્યાણ કર્યું છે. ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે સામાન્ય માનવીને સુશાસનની અનુભૂતિ કરાવી અને વચેટિયા રાજને નાબૂદ કરવું તે દિશામાં આગળ વધીને રાજ્ય સરકાર દ્વારા સમાજની મુખ્ય ધારામાં લાવવાં માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલતાથી કાર્ય કરી રહી છે અને રાજ્યની સામાન્ય જનતાને કઈ રીતે વધુમાં વધુ ઉપયોગી થઇ શકાય તે દિશામાં પગલાં લઈને સર્વતોમુખી પગલાં લઈ રહી છે. ઘારાસભ્ય અજમલજી ઠાકોરે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીનો અંત્યોદયનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સમાજમાં હજુ પણ પૂરતી જાગૃતિના અભાવે ઘણાં બધાં લાભાર્થીઓને પોતાને કઈ રીતે સહાય મળે તેની જાણકારી હોતી નથી. તેથી તે વિષેની જાણકારી આવા લોકો સુધી પહોંચે અને તેમને લાભ આપી શકાય તે દિશાના પ્રયત્નો કરવાં જોઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્ય સરકારે સોગંદનામાના બદલે સ્વ- ઘોષણાપત્ર રજૂ કરવાનું ઠરાવ્યું છે.તેનાથી વિવિધ કામો માટે કરવાં પડતાં સોગંદનામામાં ૫૦ ટકા સુધીનોનો ઘટાડો થઈ જશે કાર્યક્રમમાં સુશાસન દિવસ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાભાર્થીઓ દ્વારા સાફલ્ય ગાથા રજૂ કરાઇ હતી.જિલ્લામાં કુંવરબાઇનું મામેરૂ,ડો આંબેડકર આવાસ યોજના,વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન,પંડિત દિનદયાળ આવાસ યોજના,દિવ્યાંગ લગ્ન સહાય યોજના, નિરામયા હેલ્થ પોલીસી યોજના, બિન અનામત નિગમ દ્વારા વિદેશ અભ્યાસ લોન સહિત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા ડિઝલ મશીન,લોડીંગ સાયકલ તેમજ સલામતીના સાધનોની સહાય યોજનાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુશાસાન સપ્તાહ ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, અગ્રણી મુકેશભાઇ પટેલ,પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ, સમાજ ન્યાય અધિકારીતા વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ લાભાર્થીઓ સહિત પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment