નર્મદા જિલ્લામાં કોરોના સામે જનજાગૃત્તિ કેળવવા “કોવીડ-૧૯ વિજય રથ” ની ભુમિકા મહત્વની બની રહેશે : ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, રાજપીપલા,

નોવેલ કોરોના જનજાગૃત્તિના હેતુથી કોવીડ-૧૯ વિજય રથનું આજે નર્મદા જિલ્લામાં આગમન થતાં નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામેથી ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલના હસ્તે આ કોવીડ-૧૯ વિજય રથને નર્મદા જિલ્લાના ગામોમાં પરિભ્રમણ માટે લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવાયું હતું. પટેલ સાથે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત પણ આ પ્રસ્થાનમાં જોડાયા હતાં.

કોવીડ-૧૯ સામેની લડાઇમાં બે ગજની દુરી માસ્ક છે જરૂરી, કોઇપણ વ્યક્તિ સાથે હાથ મિલાવવો નહી, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો, ઓછામાં ઓછા ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવા અને સેનીટાઇઝરથી હાથને જતુંરહીત કરોના મહત્વ સાથે તકેદારીના પગલાં લેવા માટેના સુત્રો સાથે ગ્રામજનોને સમજ આપતી તસ્વીરી વિગતો આ રથમાં પ્રદર્શિત કરાઇ છે. તેમજ રથમાં સવાર સોંગ એન્ડ ડ્રામાના કલાવૃંદના કલાકારો દ્વારા કોરોના સામે જનજાગૃત્તિ કેળવવા બેનર્સ પોસ્ટર્સ પ્રદર્શન સાથેના આ વિજય રથ દ્વારા જિલ્લામાં ઘનિષ્ઠ લોકજાગૃત્તિ કેળવવાનો ઉમદા પ્રયાસ કરાયો છે.

આ પ્રસંગે ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોવીડ-૧૯ વિજ્ય રથનું નર્મદા જિલ્લામાં આગમન થવાથી લોકોમાં જનજાગૃ્ત્તિ આવશે, સરકારએ વિજ્ય રથ થકી જનજાગૃત્તિ ફેલાવવાનો આ ઉમદા પ્રયાસ કર્યો છે, તેની સાથોસાથ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોના સામેનો જંગ જીતીને જ રહીશું તેના માટેનો આ સુભગ પ્રયત્ન છે, તેમ જણાવી નર્મદા જિલ્લાના લોકો અને ગુજરાત માટે “વિજય રથ” આવકાર્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, આજે નર્મદા જિલ્લામાં વિજ્ય રથનું આગમન થયું છે, જે જિલ્લાના નાંદોદ અને દેડીયાપાડા તાલુકાના વિવિધ ગામોમાં ફરશે, જેમાં ચાર રૂટના પ્લાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિજ્ય રથ થકી કોવીડ-૧૯ માટે કઇ તકેદારી રાખવી અને કોવીડના લક્ષણો અને ચિન્હો વિશેની સમજ આપવામાં આવશે. જે સમજણ થકી જેને પણ કોઇ મુશ્કેલી હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં જઇને વહેલી તકે અને સમયસર સારવાર મેળવી શકે તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને સફળતા માટે આરોગ્યતંત્રનો પુરતો સહયોગ હોવાનું ડૉ. વિપુલ ગામીતે ઉમેર્યું હતું.

આ કોવીડ-૧૯ વિજ્ય રથે આજે તા.૧૫ મી ના રોજ નાંદોદ તાલુકાના પ્રતાપનગર, ધારીખેડા, કુમશગામ, આમલેથા અને તરોપા ખાતે પરિભ્રમણ કર્યું હતું. તા.૧૬ મી ના રોજ રાજપીપલાના શહેરી વિસ્તાર ઉપરાંત દેડીયાપાડા તાલુકાના ઘાંટોલી, પણગામ, બીતાડા, ખુટાઆંબા અને માડણ ગામે તેમજ તા. ૧૭ મી ના રોજ દેડીયાપાડા તાલુકાના બોરપીઠા, નવાગામ, ખૈડીપાડા અને વેલાવી ગામોમાં પરિભ્રમણ કરીને લોકસમજ કેળવાશે.

આ પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, જિલ્લાના અગ્રણી અરવિંદભાઇ પટેલ, રાજેશભાઇ વસાવા, નાંદોદ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડૉ.એ.કે.સુમન સહિત આરોગ્ય કર્મીઓ, ગામ આગેવાનો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર : હિતેન્દ્ર વાંસદિયા, નમૅદા

Related posts

Leave a Comment