અંગદાન થકી સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટથી સુરતના યુવાનને મળ્યું નવજીવન

હિન્દ ન્યુઝ, સુરત

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસો અને દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ઝડપભેર પ્રત્યારોપણ પ્રક્રિયાના પરિણામે મૂળ અમરેલીના વતની અને હાલ સુરતમાં રહેતા કિશનભાઈ રણછોડભાઈ પેથાણીનું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે આ જટિલ સર્જરી સંપૂર્ણપણે નિઃશુલ્ક પાર પાડવામાં આવી છે, જેનાથી દર્દી હવે સ્વસ્થ થઈને સામાન્ય જીવન તરફ પરત ફર્યા છે.

૩૭ વર્ષીય દર્દી કિશનભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી હું હૃદયની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. મુંબઈ, અમદાવાદ અને સુરતમાં હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની સારવાર શરૂ હતી. સુરતની ખાનગી હોસ્પિટલમાં બે સ્ટેન્ટ પણ બેસાડી હતી. સમય જતાં હાર્ટ ડેમેજ થયું અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ વિકલ્પ ન હતો. મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાને મારી બીમારી અને નબળી આર્થિક સ્થિતિની રજૂઆત કરતા તેમણે યુ.એન. મહેતા હોસ્પિટલમાં ભલામણ કરી હતી. તેમના પ્રયાસોથી ગત તા. ૨૭ જૂને મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું અને આજે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું.

ડો.વિશાલ શર્માના ઉમદા માર્ગદર્શન સાથે ડો. ચિરાગ દોશી અને ડો.પ્રતિક માણેક દ્વારા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું અને હવે મને નવું જીવન મળ્યું હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. ટ્રાન્સપ્લાન્ટ બાદ ગત તા.૩ જુલાઈએ મારો જન્મ દિવસ હોવાથી યુ.એન. હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે સાથે મળીને કેક કાપી મારો જન્મદિન ઉજવ્યો એ મારા માટે યાદગાર ક્ષણ અને જિંદગીભરનું સંભારણું બન્યું છે. સ્વસ્થ થયા બાદ મંત્રીશ્રી પ્રફુલભાઈને રૂબરૂ મળી ઋણસ્વીકાર અને આભાર વ્યક્ત કર્યો હતો.

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોના દાનથી ૭ થી ૮ લોકોને નવજીવન મળે છે. આ ઉપરાંત, ચામડી, આંખના કોર્નિયા (કીકી), હાડકાં અને હૃદયના વાલ્વ જેવા ટીસ્યુ (પેશીઓ)ના દાન કરીને અન્ય અંદાજે ૫૦ થી ૭૫ જેટલા જરૂરિયાતમંદ લોકોના જીવનમાં પણ ઉજાસ લાવી શકાય છે. ગુજરાતમાં વિવિધ એન.જી.ઓ. અને તબીબોના સહયોગથી અંગદાન અને અંગ પ્રત્યારોપણ અંગે જાગૃતિનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ અને સુરત સિવિલ હોસ્પિટલ જેવી સરકારી સંસ્થાઓએ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે સમગ્ર ભારતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

મંત્રીશ્રીએ સ્વજનનું અંગદાન કરનાર પરિવારની ઉદારતાને બિરદાવતા કહ્યું હતું કે, સ્વજન ગુમાવવાનું ભારે દુઃખ હોવા છતાં આ પરિવારે મૃતાત્માને અમરત્વ આપે તેવું મહામાનવતાવાદી કાર્ય કર્યું છે, જે સમાજ માટે પ્રેરણાદાયી છે. અંગદાનના આવા સામૂહિક પ્રયાસોથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યા છે. સરકારી સંસ્થાઓની આ સરાહનીય કામગીરી થકી આજે કિશનભાઈ પૂર્વવત ચાલતા અને દોડતા થયા છે એમ જણાવી ‘અંગદાન મહાદાન’ની આ ચળવળમાં સૌ સહભાગી બની બ્રેઈનડેડ કેસોમાં વધુમાં વધુ નાગરિકોને અંગદાન થકી લોકોને નવજીવન બક્ષવા આગળ આવવા અપીલ કરી હતી.

Related posts

Leave a Comment