હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા માનવતાવાદી અભિગમ દાખવીને એક ગુમશુદા મહિલાને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવીને તત્કાલ મદદ પૂરી પડાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્વારા એક પીડિત મહિલાને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી તેમનું સાંત્વનાપૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મહિલા મૂળ મધ્યપ્રદેશના વતની છે અને કૌટુમ્બિક ઝઘડાના કારણે કોઈને કહ્યા વગર ટ્રેનમાં બેસીને જામનગર આવી પહોંચ્યા હતા.
સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ સઘન પ્રયાસો હાથ ધરી મહિલાના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો. પરિવારજનો જામનગર ખાતે આવી પહોંચતા મહિલાને સહીસલામત રીતે તેમને સોંપવામાં આવ્યા હતા. ગુમ થયેલી મહિલા પરત મળતાં પરિવારજનો ભાવુક થઈ ઉઠ્યા હતા અને સખી વન સ્ટોપ સેન્ટરની આ સેવાકીય કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આમ, સખી વન સ્ટોપ સેન્ટર જામનગરની ટીમ દ્વારા પીડિત મહિલાને સમયસર આશ્રય, કાઉન્સિલિંગ, પોલીસ અને મેડિકલ સહિતની જરૂરી તમામ સહાય પૂરી પાડીને તેમના પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવાયુ હતું.
