હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી માર્ગ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકામાં વાહનચાલકો તથા સ્થાનિક નાગરિકોની સુવિધા અર્થે રોડ રિસર્ફેસિંગ અને પેચવર્કની મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
વિગતવાર માહિતી અનુસાર, લાલપુર તાલુકામાં આવેલ આરીખાણાથી સ્ટેટ હાઈવે ને જોડતો આશરે ૨.૦૦ કિલોમીટર લંબાઈ ધરાવતો ગ્રામ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ માર્ગને નવીન બનાવવા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦૦.૦૦ લાખની મંજૂરી આપવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી નિયત સમયમર્યાદામાં ડામરકામ સહિતની રિસર્ફેસિંગ કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવી છે.
સાથે જ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા-જશાપર રોડની ડામર સપાટીને નુકસાન થતાં વાહનવ્યવહારમાં અડચણ ઊભી થઈ હતી. જનસુવિધા અને માર્ગ સલામતીને પ્રાથમિકતા આપતાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), જામનગર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરીને અસરગ્રસ્ત સ્થળે ડામર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જિલ્લામાં હાથ ધરાયેલી આ બંને કામગીરીઓ પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને હવે વધુ સુરક્ષિત, સુગમ અને ઝડપી અવરજવરની સુવિધા પ્રાપ્ત થશે.સાથે જ માર્ગ કનેક્ટિવિટી સુધરવાથી ગ્રામ્ય વિસ્તારના કૃષિ, વેપાર અને સ્થાનિક આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
