હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર ઝેડ કેટેગરી સુરક્ષા ધરાવે છે. સુરક્ષા જાળવવા અને વીવીઆઈપી મૂવમેન્ટ ચાલુ રહેતી હોય જેથી ટ્રાફિકની સમસ્યા નિવારવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જીતેન્દ્રસિંહ એન વાઘેલા દ્વારા વાહન પ્રવેશબંધી અને વન-વે રુટનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામા અનુસાર સફારી બાયપાસ તરફથી ગુડલક સર્કલ થઈ વેણેશ્વર આવતા તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે ન્યૂ ગૌરીકુંડ થઈ સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મૂકી શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત ફરે ત્યારે સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં એક્ઝીટ થઈ સફારી સર્કલ તરફ બહાર નીકળશે.
જ્યારે નાગદાદાના મંદિરથી પઠાણવાડાના નાકાથી શ્રી રામ ગેસ્ટ હાઉસ ત્રણ રસ્તાથી, રામરાખ ચોકથી પઠાણવાડા થઈ શ્રીરામ ગેસ્ટ હાઉસ ત્રણ રસ્તા સુધી, પાંચ ચકલાથી શીવ સદન હોટલ તરફ આવતા વાહનો, મેઈનબજારમાંથી ભોઈવાડાના નાકા તરફ આવતા વાહનો, પ્રજાપતિ ધર્મશાળા ત્રણ રસ્તાથી હમીરજી સર્કલથી શંખ સર્કલ સુધી તમામ રુટ પર થ્રી વ્હીલ, ફોર વ્હીલ, લાઈટ વ્હીકલ તથા ભારે વાહનો પર પ્રવેશ પ્રતિબંધ લગાવાયો છે.
આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક રુટ તરીકે શંખ સર્કલ થી આવતા વાહનો વેણેશ્વર ચોકડીથી રામરાખ ચોક જઈ અન્ય જગ્યાએ નીકળી શકશે તેમજ મેઈન બજારના વાહનો ભોઈવાડાના નાકેથી મદાર ઓટો થઈ અન્ય જગ્યાએ અને કુંભારવાડાથી પાંચ ચકલા થઈ રામરાખ ચોક અને વેણેશ્વર ચોકડીથી અન્ય જગ્યાએ જઈ શકશે.
સાગર દર્શન ગેસ્ટ હાઉસ જવા માટે શંખ સર્કલથી ભીડિયા સર્કલ થઈ સર્કિટ હાઉસ રોડ પરથી જઈ શકાશે. આ જાહેરનામું તા.૦૧/૦૭/૨૦૨૬ થી ૩૦ દિવસ સુધી અમલમાં રહેશે તેમજ સરકારી અને મેડીકલ ટીમના વાહનો તેમજ ઈમરજન્સી સેવાઓને લાગુ પડશે નહી.
જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલિસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
