હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
રાસાયણિક ખેતી મુક્ત ગુજરાતના નિર્ધારને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે છોટાઉદેપુરના ચીલરવાંટ ખાતે તાલુકા કક્ષાની પ્રાકૃતિક કૃષિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન સરકારના અભિગમ મુજબ ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ચક્રવ્યૂહમાંથી મુક્ત કરી ‘દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી’ તરફ વાળવા માટે સઘન આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના જતન માટેનું એક અભિયાન છે. આ બેઠકમાં ગ્રામ્ય સ્તરે ક્લસ્ટર મીટિંગો યોજવા, જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ અંગે પ્રત્યક્ષ નિદર્શન આપવા તથા વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પોર્ટલ પર નોંધણી કરાવવા બાબતે જરૂરી માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. સાથે કમિટીના સભ્યો દ્વારા બીઆરસી યુનિટના સંચાલક રમેશભાઈ રાઠવાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત પણ લેવામાં આવી હતી.
આ બેઠકમાં બાગાયત અધિકારી હિમાંશુ માહ્વાવંસી, એટીવીટી અધિકારી વિરાટ દરજી, વિસ્તરણ અધિકારી ખેતી સુનિલ તરબદા, આત્મા યોજનાના બ્લોક ટેકનોલોજી મેનેજર સંજયભાઈ રાઠવા, સહીત ગ્રામસેવકઓ અને ખેડૂત સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
