હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોના પડતર પ્રશ્નો અને ફરિયાદોનું પારદર્શક તથા સમયબદ્ધ નિવારણ લાવવાના ઉમદા હેતુથી આજે જિલ્લા સેવા સદનના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા વ્યક્તિગત અને જાહેર હિતને સ્પર્શતા કુલ ૧૭ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. વારસાઈ કરવા, રસ્તા પરનું દબાણ દૂર કરવા, નલ સે જળ યોજના, સર્વે નંબર, ખનીજ ચોરી, નેશનલ હાઈવે મધ્ય બિંદુ થી ૪૦ મીટર અંતર નિયમ, સર્વિસ રોડ બનાવવા, સર્ટિફાઈટ નકલ આપવા, વીજ કનેક્શન, બિન અધિકૃત ઠરાવ, ખેતીવાડીની સિંગલ ફેઝ પાવર રાત્રી દરમિયાન આપવા, નરેગા જોબ કાર્ડ અને નવા રોડ બનાવવાના પ્રશ્નો રજૂ થયા હતા. કલેક્ટરશ્રીએ તમામ અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા અને જે-તે વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નોની વર્તમાન સ્થિતિની ઝીણવટભરી વિગતો મેળવી હતી.
કલેક્ટરએ અધિકારીઓને તાકીદ કરી હતી કે પ્રશ્નોના મૂળ સુધી પહોંચી, યોગ્ય તપાસ કરી વહેલી તકે સંતોષકારક નિકાલ લાવવો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, પોલીસ અધીક્ષક ઈમ્તિયા શેખ, નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
