હિન્દ ન્યુઝ, ગુજરાત
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતે દર બે દિવસે ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં.
ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, આજે બપોરે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યાં છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યૂ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે.
સંઘવીએ જણાવ્યું કે, જો રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદ્દે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.
#GujaratGovernment #gujaratinformation
