ધરતીનું રક્ષણ અને જન-આરોગ્યના જતન માટે પ્રાકૃતિક કૃષિ એ વર્તમાન સમયની માંગ

હિન્દ ન્યુઝ, દાહોદ 

   વર્તમાન સમયમાં વધતા જતા રાસાયણિક પ્રદૂષણ સામે ધરતી માતાનું રક્ષણ કરવા અને માનવ આરોગ્યને જાળવી રાખવા માટે ‘પ્રાકૃતિક ખેતી’ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. આ પદ્ધતિ માત્ર ખેતી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે શુદ્ધ વાતાવરણ અને સ્વસ્થ જીવનશૈલી તરફનું એક મહત્વનું ડગલું છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં ભેજ સંગ્રહવાની શક્તિ વધે છે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા સિંચાઈ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ થાય છે, જે ખેડૂત અને પર્યાવરણ બંને માટે આશીર્વાદરૂપ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી હવે એક જન-આંદોલન બની ચૂકી છે. આ ખેતી પદ્ધતિની વિશેષતા એ છે કે, તેમાં માત્ર ૧ જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી અંદાજે ૩૦ એકર જમીનમાં ખેતી કરી શકાય છે, જેનાથી ખેતી ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે. નિષ્ણાતોના મતે દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલા સૂક્ષ્મજીવો હોય છે, જે જમીનને કુદરતી રીતે પોષણ આપે છે. 

દાહોદ જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરાયેલા માસ્ટર ટ્રેનર્સ ગામે-ગામ ખેડૂતોને તાલીમ આપી રહ્યા છે. ત્યારે દેવગઢ બારિયા તાલુકાના તોયણી અને દુધિયા સહિત અન્ય અંતરિયાળ ગામોમાં પણ પ્રાકૃતિક ખેતી માટેની તાલીમો યોજાઈ હતી. પ્રાકૃતિક ખેતી થકી ૯૦ ટકા પાણીની બચત અને ખર્ચમુક્ત ઉત્પાદન દ્વારા ગામડાંઓ સ્વાવ લંબન તરફ આગળ વધી રહ્યા છે, જે અંતે રાષ્ટ્રની આર્થિક સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે.

Related posts

Leave a Comment