હિન્દ ન્યુઝ, ડાંગ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘વારસો અને વિરાસત’ વિશે વારંવાર ભાર મૂકે છે. તેમના મતે “આપણો વારસો માત્ર ભૂતકાળનું ગૌરવ નથી, પરંતુ ભવિષ્ય માટેની પ્રેરણા અને માર્ગદર્શન પણ છે.”
આ બાબતને ચરિતાર્થ કરતો ડાંગ જિલ્લાનો એકમેવ ઉત્સવ એટલે ‘ડાંગ દરબાર’.
ભારતની હજારો વર્ષની સંસ્કૃતિ, પ્રકૃતિ, પરંપરા, યોગ, આયુર્વેદ, વેદો અને લોકકલાઓ આપણા રાષ્ટ્રની ઓળખ છે. આ વિરાસતને જાળવવી અને નવી પેઢી સુધી પહોંચાડવી એ આપણી જવાબદારી છે. “વિકાસ પણ, અને વિરાસત પણ” ના પ્રધાનમંત્રીના મંત્ર અનુસાર, આધુનિક વિકાસ સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ જરૂરી છે. તો આપણા ઐતિહાસિક સ્થળોનું પુનરુત્થાન, અને ઐતિહાસિક ધરોહરનું સુપેરે સંવર્ધન કરવામાં આવી રહ્યું છે.
લોકલ પરંપરા અને “વોકલ ફોર લોકલ” અભિયાન દ્વારા હસ્તકલા, હેન્ડલૂમ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહ્યું છે. જેના લીધે પરંપરાગત કૌશલ્ય જીવંત રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ગૌરવ અને આત્મનિર્ભરતાનો મત વ્યક્ત કરતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે, ‘જે રાષ્ટ્ર પોતાનો વારસો ભૂલી જાય છે, તે પોતાની ઓળખ ગુમાવી દે છે’. તેથી સાંસ્કૃતિક આત્મવિશ્વાસ અને ઐતિહાસિક જાગૃતિ રાષ્ટ્રીય એકતા માટે આવશ્યક છે. ત્યારે સને ૧૮૪૨/૪૩ થી શરૂ થયેલી ‘ડાંગ દરબાર’ ની ઐતિહાસિક અને ભાતિગળ પરંપરા એ ગુજરાતનું ઘરેણું છે.
